શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરમાં રવિવારે સુરક્ષાબળોના જવાનોને એક મોટી સફળતા મળી છે. પાટનગર શ્રીનગરના બહારના વિસ્તાર મુજગુંડમાં આતંકીઓ અને જવાનો વચ્ચે થયેલા એનકાઉન્ટરમાં ૩ આતંકવાદીઓને ઠાર કરાયા છે. જયારે સેનાના ૫ જવાનો ઘાયલ પણ થયા છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે સુરક્ષાબળોના જવાનોને ગુપ્ત સૂચના મળી હતી કે આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા છે, ત્યારે આ જ બાતમીના આધારે જ જવાનોએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું.
આ દરમિયાન જ આતંકવાદીઓ અને જવાનો વચ્ચે ફાયરિંગ શરુ થઇ ગયું હતું. આ એનકાઉન્ટર શનિવારે શરુ થયું અને રવિવાર સવાર સુધી ચાલ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, ઠાર કરાયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના છે. જો કે આ અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી.
સેનાના એક અધિકારીના જણાવ્યા મુજબ, “માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજી સુધી થઇ શકી નહિ. આ ઓપરેશન દરમિયાન જવાનોએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર અને વિસ્ફોટ પણ જપ્ત કર્યા છે”.