દિલ્લી,
રાજધાની દિલ્લી સાથે જોડાયેલા નોઈડામાં જાતીય સતામણી કારણે એક ૯માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપધાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના પરિવારજનોએ જાતીય સતામણીના મામલે એલકોન પબ્લિક સ્કૂલના બે શિક્ષકો અને શાળાના પ્રશાસન ગંભીર આરોપો લગાવ્યા છે.
વિદ્યાર્થીનીના પરિવારજનોએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, “સ્કૂલના બે શિક્ષકો તેઓની છોકરીને ખોટી નિયતથી છેડછાડ કરતા હતા. તેઓ તેને ફેલ કરવાની ધમકી પણ આપતા હતા. જેથી આ કારણે તેને આત્મહત્યા કરી હતી. જો કે ત્યારબાદ પોલીસ દ્વારા એલકોન પબ્લિક સ્કૂલના બે શિક્ષકો સામે કેસ દાખલ કર્યો છે”.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૯માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેના પરિવાર સાથે નોઇડાના સેક્ટર-૫૨ જીબીમાં રહે છે અને તે એલકોન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.
પરિવારજનોએ આરોપ લગાવતા વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલના બે શિક્ષકો તેઓની છોકરીની જાતીય સતામણી દ્વારા શોષણ કરતા હતા અને આ બંને શિક્ષકોએ છોકરીને બે વિષયમાં ફેલ કરી હતી. આ કારણે તે પરેશાન હતી અને છોકરીએ તેના પિતાને કહ્યું હતું કે, આ બંને ટીચર તેને પાસ નહીં થવા દે.
ઉલ્લેખનીય છે કે, ૧૬ માર્ચના રોજ આવેલા પરીક્ષાના રિઝલ્ટમાં આ બંને શિક્ષકોએ બે વિષયમાં ફેલ કરી હતી. આ કારણે આ વિદ્યાર્થીનીએ મંગળવારે જયારે ઘરમાં એકલી હતી ત્યારે રેલિંગ સાથે ફાંસી લગાવીને પોતાનું જીવન ટુકાવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા આ વિદ્યાર્થીનીના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.
જયારે નોઇડા પોલીસ દ્વારા પણ આ મામલે પહેલાના તપાસ અધિકારીને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.