એનસીપીના નેતા શરદ પવારે એમ કહ્યું છે કે, આજની રાજકીય સ્થિતિ 1975-77 જેવી જ ડામાડોળ છે અને વિપક્ષોએ એક થવું જરી છે. પવારે પત્રકારોને એમ કહ્યું છે કે, હું, દેવગૌડા અને સોનિયા ગાંધી વિપક્ષોને એક કરી શકીએ છીએ.આ ત્રણેય નેતાઓએ વડાપ્રધાનની રેસમાં સામેલ થયા વગર દેશભરનો પ્રયાસ કરીને વિપક્ષોને એક કરવા જોઈએ. આમ કરીને દેશની જનતાને એક મજબૂત વિકલ્પનો ભરોસો આપવો જોઈએ.
શરદ પવારે કહ્યું છે કે, આજે સ્થિતિ એવી છે કે, વડાપ્રધાન મોદીથી હવે લોકોનો મોહભંગ થયો છે અને તે સ્પષ્ટ દેખાય છે. હવે એમનો વિકલ્પ પુરો પાડવાનો છે. એમણે આજની સ્થિતિને 1975-77ની રાજકીય સ્થિતિ સાથે સરખાવી છે. 1975-77માં પણ ઈન્દિરા ગાંધી સાથે લોકોનો મોહભંગ થયો હતો અને આજે મોદીથી લોકો કંટાળી ગયા છે.
પવારને એમ લાગે છે કે, રાષ્ટ્રીય જોડાણ કરવા કરતાં રાજ્યવાર જોડાણ તરફ વિપક્ષનું ફોકસ હોવું જોઈએ. અત્યારે કોણ મુખ્ય ચહેરો છે તે જોવાનો સમય નથી. પવારના મતે 1975-77માં ઈન્દિરા ગાંધી પાસે પણ મીડિયાનો સરકારી તંત્રનો અને સરકારી એજન્સીઓનો કંટ્રોલ હતો અને આજે મોદી પાસે આ કંટ્રોલ છે.
એ સમયે પણ લોકો સામે કોઈ મજબુત વિકલ્પ ન હોવાની મુંઝવણ હતી અને આજે એ સ્થિતિ છે તો આપણે બધાએ ભેગા મળીને તેનો તોડ કાઢવાનો છે. એ સમયે એક નેતા જયપ્રકાશ નારાયણ હતા. એમની સલાહ બધા જ પક્ષોએ માની હતી અને ત્યારબાદ જનતા પાર્ટી સત્તામાં આવી અને મોરારજી દેસાઈ તેના નેતા બન્યા.
આજે હું, સોનિયા ગાંધી, દેવગૌડા એજ કેટગરીમાં છીએ. અમને પણ વડાપ્રધાન બનવાનો અભરખો નથી. અમે ત્રણેય મળીને દેશના વિપક્ષને એક કરી શકીએ છીએ. પવારના આ મંતવ્ય સાથે રાહુલ ગાંધી સંમત છે અને નજીકના ભવિષ્યમાં આ અંગે કોઈ નક્કર સમજૂતિ થાય તેવી શકયતા છે.