કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લંડનમાં પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોઈ ખાસ પદ વિષે નથી વિચારતા પરંતુ ભારત બચાવવા વિષે વિચારે છે. રાહુલ ગાંધીએ સાફ કર્યું કે તેઓ પ્રધાનમંત્રી પદની રેસમાં નથી. ભાજપે રાહુલ ગાંધીના નિવેદનને લઈને મહાગઠબંધન પર હુમલો કર્યો છે. ભાજપ નેતા જગદંબિકા પાલે કહ્યું કે વિપક્ષ પાસે પીએમ મોદી વિરુદ્ધ કોઈ ચહેરો નથી. વળી, કોંગ્રેસ નેતા આલોક શર્માએ જણાવ્યું કે અમે હંમેશા ચૂંટણી બાદ ચહેરો આપ્યો છે. ભલે વર્ષ 2004 હોય કે 2009.
2019માં પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે મારી લડાઈ વિચારધારા સાથે છે. હું હાલ પ્રધાનમંત્રી પદ માટે નથી વિચારી રહ્યો. એમણે કહ્યું કે હાલમાં હું ખુદને વૈચારિક લડાઈ લાડવાવાળાના રૂપે જોવ છું. મારામાં આ બદલાવ 2014 બાદ આવ્યો છે. મને લાગે છે કે ભારતમાં જેવી ઘટનાઓ ઘટી રહી છે, એનાથી ભારત તેમજ ભારતીયતાને ખતરો છે. જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ કર્ણાટક ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસને બહુમત મળ્યો, તો હું પ્રધાનમંત્રી બનીશ.
આ પહેલા લોકજનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને રાહુલ અને કોંગ્રેસ પર સીધો હુમલો કરતા કહ્યું કે 2019 માટે કોઈ જગ્યા ખાલી પડી નથી. રામ વિલાસ પાસવાને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે 2019 માં કોઈ પ્રકારનો પડકાર નથી. 2019 માં પણ એનડીએની સરકાર જ આવશે. જો વિચારવું જ હોય તો 2024 માટે અત્યારથી વિચારવાનું શરુ કરી દો.