કોંગ્રેસ પક્ષ જેટલો જૂનો છે તેટલો ઘસાઈ ગયો હોય તેમ દરેક નિર્ણય લેવામાં ઢીલાશ કરી રહયો અને તેના કારણે એક પછી એક રાજ્ય ખોઈ રહયો છે.એક જમાનામાં સમગ્ર દેશ પર એક ચક્રી શાસન કરનાર આ પક્ષ અત્યારે અવદશાના માર્ગે છે. ગુજરાત વડાપ્રધાન મોદીનું વતન છે અને ત્યાં ૧૯૯૫થી ભાજપનું શાસન છે.૧૯૯૦માં જનતા દળ ભાજપ સામે હાર્યા બાદ અત્યાર સુધી સત્તાપર આવી શકી નથી. જનતા દળ અને રાજપમાંથી આયાત થયેલા નેતા તેને ક્યારે પણ ફળ્યા નથી.
ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધીમાં અનેક એટલે કે લગભગ વીસ કરતા વધારે પ્રમુખો આવ્યા અને ગયા છે.૧૯૬૯ બાદ કોંગ્રેસનું પહેલું વિભાજન અને ૧૯૮૦માં બીજા વિભાજન બાદ તેના પ્રમુખોની મુદત પૂરી થતાં બદલવાનો ક્રમ ચાલુ જ રહયો છે.૧૯૮૯ની લોકસભા ચૂંટણી બાદ પ્રમુખ અને મુખ્યમંત્રી બન્ને બદલાયાં હતા.કોંગ્રેસ હારે એટલે તરત તેના પ્રમુખ બદલાય છે.ઘણા આગેવાનો એવા છે કે જે એક કરતાં વધુ વખત પમુખ પદ ભોગવી ચુક્યા છે.જેમાં ભરતસિંહ સોલંકી અહમદ પટેલ વિગેરેના નામો મૂકી શકાય.સૌરાષ્ટ્રના આગેવાનો છબીલદાસ મહેતા સહિત ત્રણ આગેવાનો આ હોદો ભોગવી ચુક્યા છે.મધ્યગુજરાતને આ લાભ વધારે પ્રમાણમાં મળ્યો છે. દક્ષિણ ગુજરાતના આગેવાનો તરીકે સી ડી પટેલ ઝીણા ભાઈ દરજી અહમદ પટેલ પણ આ હોદો ભોગવી ચુક્યા છે.ઉત્તર ગુજરાતનો વારો પણ આવ્યો છે. પણ અગાઉ દરેક વખતે આ વખતે પ્રદેશ પ્રમુખની પસંદગીમાં જેટલો સમય લાગ્યો તેવો આ વખતે લાગ્યો નથી.
ભૂતકાળમાં તો પ્રમુખ રાજીનામુ આપે કે તો ટૂંકા ગાળામાં નિમણૂક થઈ જતી હતી. કોંગ્રેસ ભલે સૌથી જૂનો લોકશાહી પક્ષ કહેવાતો હોય પણ તેમાં પસંદગી તો દિલ્હી થઈ થાય છે. હા ,એક વાત સાચી કે પક્ષના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવી તેમની સાથે ચર્ચા અવશ્ય થાય છે.જો કે કોંગ્રેસના ઘણા આગેવાનો કહે છે તે પ્રમાણે આ વખતે કોંગ્રેસના આગેવાનોને દિલ્હીના ધક્કા જેટલી વાર ખાવા પડ્યા છે તેવું ભૂતકાળમાં ક્યારે પણ બન્યું નથી. તે પણ એક વાસ્તવિકતા છે.
પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ વિરોધી વાતાવરણ હોવા છતાં કોંગ્રેસ ચૂંટણી જીતી શકી નહોતી.ધારાસભાની બેઠકો વધી પણ સત્તા ન મળી.તેથી કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામુ આપ્યું.તેમના સ્થાને આંકલાવની બેઠકના ધારાસભ્ય તરીકે બે વખત ચૂંટાયેલા તેમના જ પરિવારના સભ્ય અમિત ચાવડાની વરણી થઈ હતી.અને પ્રભારી તરીકે રાજીવ સાતવ ની નિમણૂક થઈ.હવે ૨૦૨૦માંયોજાયેલી પેટા ચૂંટણીમાં અને ૨૦૨૧ની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો. તેની જવાબદારી સ્વીકારી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આઠેકમાસ પહેલા રાજીનામુ આપ્યું હતું.તેમનું રાજીનામુ સ્વીકારી પણ લેવાયું હતું પરંતુ તેમને નવી નિમણૂક થતા સુધી હોળાપર ચાલુ રહેવા પણ કહેવાયું હતું.ત્યાર થી પ્રમુખની શોધ ચાલતી હતી.
દાવેદારો અનેક હતા. ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા,જગદીશ ઠાકોર, વિરજીભાઈ ઠુમર સહિત અનેક નામો હતા. રાહુલ ગાંધી એક તબબકે કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલને પણ પ્રમુખ બનાવવા માગતા હતા.આ સંજોગોમાં એક વર્ગે વિરોધ કરતા આ નામ પડતું મુકાયું હતું. છેલ્લે શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોર એ બે જ નામો ચર્ચામાં હતા. પણ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ બનવા ઇન્કાર કરી દેતા આખરે જગદીશ ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળાયો છે.
પાટીદાર આગેવાનોમાંથી પટેલ મુખ્યમંત્રીનો સૂર ઉઠ્યા બાદ ભાજપે ગુજરાતમાં ભાજપે ભુપેન્દ્ર ભાઈ પટેલની મુખ્યમમંત્રી તરીકે પસંદગી કરી .ભાજપે પોતાના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની વરણી કરી દાવેદારો ને આંચકો આપ્યો હતો મુખ્યમંત્રી પદમાં પણ નામ નવું જ પસંદ થયું હતું.જો કે કોંગ્રેસ કોઈને આંચકો આપી શકી નથી.જેમના નામો ચર્ચાતા હતા તેમાંથી પસંદગી થઈ છે.
એક ચર્ચા એવી પણ થાય છે કે કોંગ્રેસ જે રીતે પડતીના માર્ગે ધકેલાઈ રહી છે.તેના આગેવાનો વારાફરતી પક્ષ છોડી રહયા છે તે જોતા ઘણા આગેવાનો આ પક્ષને બળતું ઘર માની રહયા છે .તેના કારણે પણ કેટલાક આગેવાનો આજવાબદારી સંભાળવા તૈયાર નહોતા.
આખરે ઘણા વિશ્લેષકો જેને બળતું ઘર કહે છે તેની જવાબદારી જગદીશ ઠાકોરના શિરે મુકાઈ છે.તેમણે આ જવાબદારી ભાજપના ભુક્કા કાઢી નાખીશ તેવા વિધાનો સાથે સ્વીકારી પણ લીધી છે.વિદ્યાર્થી સંગઠન એન એસ યુ આઈ માં વિદ્યાર્થી નેતા તરીકે કારકિર્દી શરૂ કરનાર જગદીશ ઠાકોર જિલ્લા અને પ્રદેશ મંત્રી તરીકેના હોદ્દા સંભાળી ચુક્યા છે.૨૦૦૨અને ૨૦૦૭ માં દહેગામ બેઠક પરથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ ચુક્યા છે.૨૦૦૯માં લોકસભાની ચૂંટણી પણ પાટણની બેઠક પર થી જીત્યા હતા તે પણ એક હકીકત છે.૨૦૧૪માં તેઓ હાર્યા હતા તે પણ વાસ્તવિકતા છે.તેમની ગણના આક્રમક અને ગણતરીબાજ નેતા તરીકે થાય છે.તેમણે ૨૦૧૭માં ઉમેદવારોની પસંદગી બાબતમાં વાંધો પડતા રાજીનામુ પણ આપ્યું હતું.જો કે પછી માની પણ ગયા હતા.અત્યારે તેમની સામે કોંગ્રેસને જીતાડવાનો તો ઠીક પણ પક્ષને ટકાવવાનો પણ પડકાર છે.પક્ષમાંથી કોઈ આગેવાનો રાજીનામાં ન આપે તે જોવાનો પણ સૌથી મોટો પડકાર છે.વર્ષોથી આ પક્ષમાં ઘર કરી ગયેલી જૂથબંધી પણ દૂર કરવાની ઘણી અઘરી કામગીરી કરવાની છે.
ભાજપના નેતાઓ જ્યારે બધી બેઠકો એટલે કે તમામ ૧૮૨ બેઠકો જીતવાનો દાવો કરતા હોય ત્યારે આ દાવાને સાવ નિષ્ફળ બનાવી પક્ષને ટકાવવાનો છે.પક્ષમાં જે યુવા કાર્યકરો અને આગેવાનો છે તેમને ટકાવી રાખી યુવા અને વરીષ્ઠોનો યોગ્ય ઉપયોગ કરી પક્ષને ટકાવવાનો છે.સૌથી મોટી વાત તો એ છે કે પક્ષના સંગઠનનું માળખું બુથ લેવલથી ઉભું કરી તેને પ્રદેશસ્તર સુધી મજબૂત બનાવવાનું છે.
ગ્રામપંચાયતની ચૂંટણી ભલે પક્ષ ના નિશાન પર ન લડાતી હોય પણ આ ચૂંટણીમાં સફળતા મેળવવા માટે બધી તાકાત કામે લગાડવાની છે.રાજકીય વિશ્લેષકો કહેછે તે પ્રમાણે ગ્રામ પંચાયત ચૂંટણી તેમની પહેલી અગ્નિ પરીક્ષા છે.૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી તેમની બીજી અગ્નિપરીક્ષા છે.સંગઠન મજબૂત બનાવી તેને ટકાવવાનું તે તેમની ત્રીજી અગ્નિપરીક્ષા છે. જ્યારે વર્ષો થી ઘર કરી ગયેલી જૂથબંધીનો ખાત્મો બોલાવવો એ તેમની ચોથી અગ્નિ પરીક્ષા છે.ટૂંકમાં પ્રદેશ કોંગ્રેસના નવા સુકાની માટે અસ્તિત્વ ટકાવવું એજ સૌથી મોટી અગ્નિ પરીક્ષા છે.
દુ:ખદ / ભારતીય મીડિયાના પીઢ પત્રકાર વિનોદ દુઆનું નિધન, આવતી કાલે થશે અંતિમ સંસ્કાર
Omicron / ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધો : CM ભુપેન્દ્ર પટેલ