ભારતીય શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે તે મરુ મેરું અને મેરામણનો પ્રદેશ પ્રાચીન કચ્છનું આજથી નવું વર્ષ શરૂ થયું છે. અષાઢી બીજએ કચ્છીમાડુંઓ માટે નવું વર્ષ છે. આજે કચ્છમાં નવા વર્ષની ઉજવણી થઈ છે. લોકો એકબીજાને શુભેચ્છા આપી કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. રણ, દરિયો અને ડુંગરનો પ્રદેશ ફરી જૂના જાહોજલાલીવાળા સમયમાં વિકાસની સાથે આગળ વધી રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ છે. નવું વર્ષ સુખમય આરોગ્યપ્રદ અને વિકાસશીલ બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
આજે અષાઢી બીજ, કચ્છનું નવું વર્ષ, કચ્છી ભાંવરે કે જજીયું જજીયું વંધાઈંયું. કચ્છ એટલે હેતાળ પ્રદેશ. સુકો પ્રદેશ પણ દરિયાદિલ પ્રદેશ, પ્રેમાળ કચ્છીમાડુઓ આજે નવું વર્ષ ઉજવી રહ્યાં છે. અષાઢી બીજ કચ્છી પરંપરાનું નવું વર્ષ છે. વિક્રમ સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી. ત્યારથી અષાઢી બીજ ઉજવાય છે અને નવું વર્ષ મનાવાય છે. કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથીથી કચ્છી પંચાગ શરૂ કરાવ્યું હતું. વિક્રમ સંવત કરતાં ચાર માસ આગળ કચ્છી નવું વર્ષ ઉજવાય છે. દેશદેશવારમાં કયાંય પણ વસતા કચ્છી આજે પોતાના ભાઈબંધુઓને નવા વર્ષના વધામણા આપવાનું ચુકતો નથી. કચ્છભરમાં હર્ષોલ્લાસ સાથે નવા વર્ષને આવકાર્યું હતું.
સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે મેઘરાજાના શુકન થઈ રહ્યાં છે ત્યારે કચ્છીમાડુઓએ વિશ્વશાંતિની પ્રાર્થના કરી હતી. કચ્છની આ અનોખી પરંપરા પાછળ. ખેતીની વાવણીના હળ જોડવા, દરિયામાંથી સાગર ખેડુઓનું પરત આવવું અને સૌથી મોટું જનજીવનનો જેના પર સૌથી મોટો આધાર છે તે ચોમાસાની શરૂઆતની બાબતો જોડાયેલી છે. આ પરંપરા આજે પણ જીવંત છે.
ભાજપના આગેવાન દિલીપભાઈ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે રાજાશાહીના સમયમાં આજના દિવસે કચ્છી પંચાગ બહાર પાડવામાં આવતાં હતાં. અને રાજાના નવા સિક્કાઓનું પણ છાપકામ શરૂ કરાતું હતું. જોકે આજના આધુનિક સમયમાં નવા વર્ષની ઉજવણી માત્ર શુભેચ્છા પાઠવવા પુરતી સિમિત રહે છે. જૂની પેઢીના લોકો માને છે કે નવી પેઢીએ આપણી અલગ પંરપરા જાળવવા આગળ આવવું જોઈએ. બખ મલાખડો, સફેદ રણ, કાળો ડુંગર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, રવેચીધામ, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર, કચ્છી ભરત સહિત અનેક બાબતોથી કચ્છ પ્રદેશ સૌથી અલગ તરી આવે છે અને તેથી જ કચ્છી પ્રજા ખમતીધર પ્રજા તરીકે ઓળખાય છે. 1819ના ભૂકંપ પછી કચ્છની સ્થિતિ બદલાયા બાદ વર્ષ 2001ના ભૂકંપમાં કચ્છે જે પીડા ભોગવી છે. તે હવે વિકાસ સાથે દુખદ યાદ બની રહી છે. કોરોનાકાળમાં હજુ પણ ધરતીના પેટાળમાં થતી હિલચાલને કારણે ડર વચ્ચે પણ કચ્છ આગળ વધી રહ્યું છે. કચ્છીમાં હજુ પણ બોલાય છે જીંએ કચ્છ.