વિધાનસભા અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાને પ્રથમ મહિલા અધ્યક્ષ મળ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ડો. નીમાબહેન આચાર્યની વરણી કરવામાં આવી છે. નીમાબહેન આચાર્ય દ્વારા શુક્રવારે સવારે 10.૩૦ કલાકે વિધાનસભા અધ્યક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેમની સાથે કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને વિધાનસભા દંડક પંકજ દેસાઈ પણ હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ બન્યા બાદ તેમનું પહેલું નિવેદન સામે આવ્યું હતું અને તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મને વિધાનસભા અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. હું પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષ બનીશ. મે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ડો. નીમાબહેન આચાર્યે થોડા સમય પહેલા કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેમના બદલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની વરણી કરવામાં આવી હતી.
નોધનીય છે કે, ભાજપ તરફથી ઉપાધ્યક્ષ માટે જેઠા ભરવાડ દ્વારા ઉમેદવારી કરવામાં આવી છે જયારે કોંગ્રેસ તરફથી ડો. અનિલ જોષીયારા દ્વારા ઉમેદવારી કરવામાં આવી હતી. ઉપાધ્યક્ષ તરીકેના પદ માટે બંને પક્ષે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું પણ નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની પ્રણાલી મુજબ અધ્યક્ષ તરીકે સતા પક્ષ સ્થાન લે છે. સત્તા પક્ષ જેને અધ્યક્ષ તરીકે જે નામ મુકશે તેનું સમર્થન કરીએ છીએ. ભૂતકાળમાં ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને મળતું હતું પરંતુ કમનસીબે વીતેલા વર્ષોમાં ભાજપે આ પ્રણાલી પુરી કરી દીધી છે. કોંગ્રેસ પક્ષ પોતાના અધિકારનું જતન કરતા ભણેલા ગણેલા ડો. અનિલ જોષીયરા નું ફોર્મ ભર્યું છે. કોંગ્રેસે સ્વચ્છ છબીના ઉમેદવાર રજૂ કર્યા છે જયારે ભાજપે ગુનાહિત ઇતિહાસ ધરાવતાને પસંદ કર્યા છે.
કોણ છે ડો.નીમાબેન આચાર્ય?
- ડો.નીમાબેન આચાર્ય વ્યવસાયે તબીબ
- સામાજિક ક્ષેત્રે મોટું યોગદાન
- 2002-07માં કોંગી ધારાસભ્ય તરીકે જીત
- 2007માં પક્ષપરિવર્તન કરી ભાજપમાં સામેલ
- વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યાં ડો.નીમાબેન