સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન પીજીવીસીએલને થયું છે કેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે તેનો રોજ આંકડો બદલી રહ્યો છે ૧૭મીએ ૮૪૪ ગામો, ૧૮મીએ ૨૭૭૧ અને આજે ૫૨૬૩ ગામોમાં વીજપુરવઠાને અસર પહોચી છે.તેમાં એક દિવસમાં ૩૧૦૧ ફિડર રીપેર કરવામાં આવતા ૩૪૪૧ ગામોમાં પાવર સપ્લાય આપી દેવામાં આવ્યો છે.જો કે હજુ ૧૮૨૨ ગામડામાં વીજળી પહોચી નથી જે આવતિકાલ સાંજ સુધીમાં પહોચતી કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.
વાવાઝોડું ફુંકાયાના ત્રણ દિવસ પછીપણ સૌરાષ્ટ્રના ૧૮૨૨ ગામો અને ૧૦ શહેરોમાં હજુ પાવર સપ્લાય પહોચ્યો નથી વીજ કંપનીની ૭૦૦થી વધુની ટીમ યુધ્ધના ધોરણે પાવર સપ્લાયની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ૭૪૮૨૧ વીજ થાંભલા પડીને પાદર થઈ ગયા છે.ઉના, ગિરગઢડા, અમરેલી, જાફરાબાદ, રાજુલા પંથકના ગામોમાં હજુ પાવર સપ્લાયનો કોઈ અતો પતો નથી કારણ કે વાવાઝોડાએ આ શહેરમાં વિનાશ સર્જયો છે તેથી વીજ થાંભલા, સબસ્ટેશન અને વાયર તૂટી ગયા છે હજુ તો આ વિસ્તારોમાં પાવર સપ્લાય માટેનો સર્વે ચાલી રહ્યો છે. ભાવનગરના ચાર શહેરો અને અમરેલીના ૬ શહેરોમાં હજુ અંધારા છે.
સૌરાષ્ટ્રના ૫૦૩૬ ગામોમાંથી આજે ૩૦૦૫ ગામોમાં વીજ પુરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે બાકીના ગામોમાં કયાં ફોલ્ટ થયો છે અને કઈ લાઈન તૂટી છે તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.૫૬૬૫ ફિડરમાંથી આજે ૩૧૦૧ ફિડર ચાલુ કરવામાં આવ્યા છે અને ૨૫૬૪ ફિડર ચાલુ કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે.