New Delhi News: હોસ્પિટલોમાં દર્દીઓની ભીડની અસર કહો કે સારવાર દરમિયાન દર્દીઓની સલામતી સાથે રમત કહો, પરંતુ એક વાત સાચી છે કે દર્દીઓ માટે પ્રિસ્ક્રીપ્શન લખવામાં બેદરકારી દાખવવામાં આવે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની પહેલ પર 13 હોસ્પિટલોમાં કરવામાં આવેલા અભ્યાસમાં ખુલાસો થયો છે કે ઓપીડી(OPD)માં સારવાર માટે આવતા 44.87 ટકા દર્દીઓ પ્રિસ્ક્રિપ્શન લખવામાં ગાઈડલાઈન્સનું પાલન કરતા નથી અથવા તો તે માર્ગદર્શિકા અધૂરી હોય છે.
દર દસમા દર્દીને લખવામાં આવતી દવાના પ્રિસ્ક્રિપ્શનમાં ગંભીર ભૂલો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે દર્દીઓને ગંભીર આડઅસર વેઠવી પડે છે. તાજેતરમાં આ અભ્યાસ ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થયો છે. AIIMS દિલ્હી, સફદરજંગ, AIIMS ભોપાલ, KEM મુંબઈ, PGI ચંદીગઢ, ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ પટના સહિત 13 હોસ્પિટલોના ફાર્માકોલોજી વિભાગના ડૉક્ટરોએ સંયુક્ત રીતે અભ્યાસ હાથ ધર્યો છે.
4,838 દર્દીઓની સ્લિપ એકત્રિત કરીને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો
ઓગસ્ટ 2019 થી 2020ની વચ્ચે સરકારી અને ખાનગી ક્ષેત્રની તે હોસ્પિટલોના સામુદાયિક(કોમ્યુનિટી) દવા, જનરલ મેડિસિન, સર્જરી, બાળરોગ, સ્ત્રીરોગ, ત્વચારોગ અને નેત્રરોગ વિભાગની ઓપીડીમાં સારવાર લઈ રહેલા 4,838 દર્દીઓની સ્લિપ(પ્રિસ્ક્રિપ્શન) એકત્રિત કરીને એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, 55.1 ટકા પ્રિસ્ક્રિપ્શનમાં ડોકટરોએ માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કર્યું હતું. 44.87 ટકા સ્લિપમાં ખામીઓ જોવા મળી હતી. 38.65 ટકા પ્રિસ્ક્રિપ્શનમાં દવાનો ડોઝ, કેટલી વાર અને કેટલા સમય સુધી દવા લેવાની છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. 9.8 ટકા (475) પ્રિસ્ક્રિપ્શનમાં ગંભીર ભૂલો જોવા મળી હતી. પરિણામે, અભ્યાસમાં સમાવેશ લગભગ છ ટકા દર્દીઓની સારવારનો ખર્ચ વધી ગયો. પાંચ ટકા દર્દીઓને દવાની ગંભીર આડઅસર થઈ હતી.
દવાની આડઅસરો ટાળવા માટે બિનજરૂરી રીતે દવાઓ સૂચવાઈ
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દર્દીઓને રોગના ઈલાજ માટે તેમજ દવાની આડઅસરથી બચવા માટે બિનજરૂરી દવાઓ સૂચવવામાં આવી હતી. Pantoprazole, Rabeprazole અને Domperidone સંયુક્ત માત્રા અને મૌખિક ઉત્સેચકો બિનજરૂરી રીતે વધુ પડતી સૂચવવામાં આવી હતી.
દર્દીઓને દવાઓ લખનાર તમામ તબીબો MD અથવા MS હતા અને તેમને ચારથી 18 વર્ષનો અનુભવ હતો. ઘણા દર્દીઓને એન્ટાસિડ્સ સાથે Rabeprazole અને Domperidoneનો ડોઝ સૂચવવામાં આવ્યો હતો, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગાઈડલાઈન્સમાં સમાવેશ કરાયો નથી.
સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. જુગલ કિશોરે જણાવ્યું હતું કે પ્રિસ્ક્રિપ્શન લખવામાં અનિયમિતતાના કારણોની તપાસ કરતી વખતે, અભ્યાસ ક્યારે હાથ ધરવામાં આવ્યો હતો તે પણ જોવું જોઈએ. વર્ષ 2020માં કોરોનાનો ચેપ હતો. તે સમયે એન્ટિબાયોટિક્સ અને આવી ઘણી દવાઓ વધુ લખવામાં આવતી હતી. આ સિવાય હોસ્પિટલોમાં ભીડને કારણે કેટલીકવાર ડોક્ટરો દર્દીને જે સમજાવે છે તે સ્લિપ પર લખી શકતા નથી. તેમ છતાં, સ્લિપ લખવામાં કોઈ ભૂલ ન હોવી જોઈએ. દવાઓનો યોગ્ય ઉપયોગ મહત્વપૂર્ણ છે. આ માટે સરકાર પણ પ્રયાસો કરી રહી છે. આવા વધુ અભ્યાસ કરવા જોઈએ જેથી દવાઓનો દુરૂપયોગ અટકાવી શકાય.
આ પણ વાંચો:વકીલે અસીલ પાસે માંગવી પડી માફી, જાણો કેમ…
આ પણ વાંચો:બસપાએ નવી યાદીમાં વધુ 9 ઉમેદવારના નામ કર્યા જાહેર, હાઈપ્રોફાઈલ સીટ આઝમગઢ પર કોને ઉતાર્યા મેદાનમાં
આ પણ વાંચો:પતિ ગુમ થયા બાદ બે પત્નીઓ પોલીસ સ્ટેશન પહોંચી, મૌલાના સાહેબ મળ્યા ત્રીજી બેગમના ઘરે