માતૃત્વ : ભાવિની વસાણી
દેશમાં હાલ કોરોનાનો કાળ ચાલી રહ્યો છે, કોરોનાના સંક્રમણથી બચવા માટે પ્રારંભિક તબક્કાઓના લોકડાઉનના પાલન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભરતાનું સૂત્ર આપ્યું, ત્યારબાદ લોકો આત્મનિર્ભર શબ્દ વધારે સારી રીતે સમજવા લાગ્યા છે. આર્થિક-સામાજિક અને માનસિક કોઈપણ રીતે કોઈ વ્યક્તિ પર આધારિત રહેવું તે ક્યારેય સારું હોતું નથી. માટે શક્ય તેટલું પોતાના પ્રશ્નો પોતે હલ કરતા શીખો અને આ જ પાઠ બાળકને શીખવવાની પણ જરૂર છે. ઘણા ઘરમાં એવું જોવા મળે છે કે માતા-પિતા પોતે તો ઘણા આત્મનિર્ભર હોય છે, પરંતુ બાળકો માયકાંગલા જેવા હોય છે. બાળક નાનું છે-નાનું છે કરીને તેને આપણે ઘણી બધી જવાબદારી સોંપવા માટે અચકાતા હોઈએ છીએ. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે મોટાઓનેતો આત્મનિર્ભર બનવાની આવશ્યકતા છે. પરંતુ બાળકોને પણ જો નાનપણથી આત્મનિર્ભર બનાવવાના પાઠ શીખવ્યા હશે તો જ ભવિષ્યમાં તે આત્મવિશ્વાસ પૂર્વક તેના ધ્યેય પ્રમાણે આગળ વધશે, અને સાથે સાથે જીવનમાં આવતી વિપરીત પરિસ્થિતિનો પણ પોતાની કુનેહથી સામનો કરી શકશે.
આપણે વિજ્ઞાપનો જોતા હોઈએ છીએ ટેલિવિઝન પર પ્રસારિત થતી એક ફેસવોશની જાહેરાતમાં કંઈક આવા શબ્દો છે, “અંદર સે કે ક્લીન નહી હોગા, તો બાહરસે કે ક્લિયર કૈસે હોગા…” એ જ રીતે જે બાળક હોય કે પછી યુવાન, વ્યક્તિના મનની અંદર ગડમથલ હશે તો બહારની દુનિયામાં તે આત્મવિશ્વાસ પૂર્વક કામ ક્યાંથી કરશે ? આ માટે આપણે જાણીએ કે બાળકને આત્મનિર્ભર બનવાના પાઠ નાનપણથી શા માટે શીખવવા જોઈએ.
* કોઈપણ માતા-પિતા કરતાં તેના સંતાનો ઉંમરમાં હંમેશા નાના જ રહેવાના છે,પરંતુ સત્ય એ છે કે બાળક આજે નાનું છે પરંતુ કાયમ નાનું રહેવાનું નથી. આ માટે તેને એવી સમજણ આપો કે તે તેની ઉંમરના બાળકો સાથે તાદાત્મ્ય યથાયોગ્ય રીતે સાધી શકે. અને નાનપણથી જ આત્મનિર્ભર બને.
* જો બાળકને નાનપણથી આત્મનિર્ભરતાનો પાઠ શીખવ્યો હશે, તો આગળ જતાં તેની ઉંમરના બાળકો કે સમાજ સાથે તે ભળી શકશે, એટલું જ નહીં પરંતુ આ વખતે ઉપસ્થિત થતી તમામ સારી અને ખરાબ બંને બાબતોને તે સ્વીકારી શકે. જેથી તે પોતાના નિર્ણયો લેવામાં ક્યારે અવઢવ અનુભવશે નહિ.
* બાળકને એ પણ સમજાઈ જશે કે જીવનમાં હંમેશા બધુ સુખમય અને આનંદમય નથી હોતું, શિક્ષણની પરીક્ષા હોય કે પછી સામાજિક સંબંધો કે દોસ્તી તૂટવાની ઘટના હોય, ક્યારેય નિષ્ફળ જશે તો બાળક નાસીપાસ નહીં થાય અને પોતાની ભૂલ પણ તેને સમજાશે. અને પોતાની ભૂલ પરથી શીખીને આગળ સારું પ્રદર્શન કરવા માટે પ્રયત્નશીલ રહેશે.
* બાળકને આત્મનિર્ભર બનાવવાથી તેનામાં આત્મસન્માનની ભાવના નાની ઉંમરે આવે છે, જેથી તે પોતાના પર વિશ્વાસ પણ મૂકતા શીખે છે.
* આ માટેનો એક રસ્તો છે કે બાળકને નાનપણથી સારું વાંચન અને સારી ફિલ્મો બતાવી અને સંદેશ પણ આપી શકાય છે. પરંતુ ગમે તેટલી માહિતીલક્ષી બાબતો તમે તેને પીરસી હશે, જ્યાં સુધી અનુભવમાં નહીં આવે ત્યાં સુધી તે સમજશે નહીં, માટે કેટલીક અનુભૂતિ તેને જાતે થવા દો. દાખલા તરીકે બાળક ને કહો કે દોડશે તો પડશે… તેના બદલે તેને એકવાર દોડવા દો અને જાતે પડવા દો
* આવું જીવનના દરેક તબક્કામાં શીખવવું પડે છે. તમે તેને વિઝન કે માર્ગદર્શન આપી શકો પરંતુ તેને તેની ઉંમર મુજબના નિર્ણય જાતે જ લેવા દો. ફરજિયાત પણે તમારા નિર્ણયો તેના પર લાદવાની કોશિશ ના કરો.બાળકને કેટલાક નિર્ણય જાતે કરવા દો આ સ્વતંત્રતા હશે એટલે તે અનુભવ પરથી પણ જાતે શીખી જશે.
* ઘણી વખત જીવનના બહુ ગંભીર પાઠ હસતા રમતા પણ શીખી શકાય છે, તમારે તેને એટલું ગંભીરતાથી સમજાવવાની જરૂર નથી, કે તેને જીવન બોજારૂપ લાગવા માંડે,
આ માટે તેને યોગ ,ધ્યાન, પ્રાણાયમ તેમજ અન્ય શારીરિક કસરતોને નિયમિત જીવનમાં અપનાવે તે પ્રકારનું વાતાવરણ ઊભું કરો. કોઈ પણ બાબત હોય તેને રમત-રમતમાં ગળે ઉતરાવવી પડે છે.
* માટે જીવનની કોઈ પણ બાબત હોય તમે પણ એટલા બધા ગંભીર ન બની જાવ, બાળક કોઈપણ ક્ષેત્રમાં જીતે કે હારે દરેક પરિસ્થિતિમાં તમે તેમની સાથે રહો. બસ તમારે તેનો પડછાયો બની અને સાથે રહેવાનું છે. પરંતુ તેને તેનો દ્રષ્ટિકોણ જાતે કેળવવા દો અને જીવનનું ધ્યેય કંઈ પણ હોય તે જીવનથી વિશેષ તો ન જ હોય તે બાબત તેના મગજમાં અંકિત કરાવી દો. જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય ખોટા નિર્ણયો ન લે.