અમદાવાદ: જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જસદણની જનતાએ પરિપક્વતાથી મતદાન કર્યું છે જેથી આ જનતાની જીત છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ ગણતરીના કલાકોમાં કેબિનેટ મંત્રી બનનાર કુંવરજી બાવળિયાએ જસદણના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે ખાલી પડેલી જસદણ વિધાનસભા બેઠક માટે ગત તા. 20 ડિસેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેના અંતર્ગત આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીમાં ભાજપ સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો.
જસદણની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. જસદણની જીત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ત્રણ રાજ્યોમાં જીત મળ્યા પછી કોંગ્રેસ અતિ ઉત્સાહમાં આવી ગઈ હતી. જસદણની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના નામે નિતનવા નાટકો કર્યા હતા. તેમ છતાં તેમની કારી ફાવી ન હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા તમામ સમાજના લોકો ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો. આટઆટલા દુષ્પ્રચાર છતાં પણ ખેડૂતોએ ભાજપને મત આપ્યા છે. એટલું જ નહી આ બેઠક પરથી ભાજપના કુંવરજીભાઈ ગત ચૂંટણીમાં નવ હજાર મતોથી જીત્યા હતા જયારે આ વખતે તેના કરતા બમણાં મતોથી વિજયી બન્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કરતા ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી હતી. કારણ કે, જસદણ બેઠક ઉપરથી ભાજપનો ઉમેદવાર નહિ પણ ભાજપ સરકારના કેબિનેટ મંત્રી ચૂંટણી લડી રહ્યા હતા. જેના કારણે આ પેટા ચૂંટણીમાં જીત મેળવવી ભાજપ માટે ઘણી મહત્વની હતી.