શહેરમાં વરસાદ નાં આગમનનાં એંધાણ સાથે ભાજપ સાશકોએ ૯૦ ટકા રોડના કામ પૂર્ણ થયા હોવાનો દાવો કર્યો છે. જયારે શહેરના ૧૫૦ જેટલા રોડ રસ્તાના કામ બાકી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ભાજપ સાશકો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતને કારણે 100 ફુટના 30 પૈકી 28 રસ્તાના કામ આર.કે.સી.ઇન્ફાબીલ્ટ પ્રા.લી.ને આપ્યા હોવાનો દાવો વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે કર્યો છે. તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનમાં પોલમપોલ કરવામાં આવી હોય તેવા આક્ષેપ કરાયા છે.
ભાજપ સાશકોનાં પ્રિ-મોન્સુન કામગીરીનાં મોટા-મોટા દાવાઓ સામે અમદાવાદનાં ૧૫૦ જેટલા રોડ રસ્તાનાં કામ કરવાના બાકી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જેના લીધે શહેરની જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષી નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું કે ચોમાસુ શરૂ થઇ ગયુ હોવા છતાં શહેરના તમામ ઝોનના મોટા ભાગના રોડ રસ્તાના કામ બાકી છે. તેનું મુખ્ય કારણ મ્યુનિ કોર્પોરેશન પાસે આયોજનનો અભાવ છે. ૧૦૦ ફુટના રોડ બનાવાના ૩૦ કામો પૈકી 168 કરોડના ૨૮ કામો એક જ કોન્ટ્રાક્ટર આર.કે.સી.ઇન્ફાબીલ્ટ પ્રા.લી.ને આપવામાં આવ્યા છે. જે સાફ દર્શાવે છે કે રોડ પ્રોજેક્ટના કામો ફક્ત અને ફક્ત પોતાના જાણીતાં અને માનિતાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયો છે. ભાજપ સાશકો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે જનતાનાં પૈસાનો વ્યય થાય છે. કામ ઝડપથી કરાવવા માટે કોંગ્રેસે એક કોન્ટ્રાકટ૨ને વધુમાં વધુ ૩ કે ૪ કામો જ આપવાની માગણી કરી છે કારણકી એક જ કોન્ટ્રાકટરને વધુ કામ આપવાથી કામ સમયસર પૂર્ણ થતાં નથી. અધુરા રહેલા કામો તાકીદેં પૂર્ણ કરવામાં નહી આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ આમને-સામને : 4 આતંકવાદી ઠાર