અમદાવાદનાં બાકરોલ-સરખેજ પાસે આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પાંજરાપોળમાં ગાયના મોત અંગે વાઈરલ થયેલા વિડીયો બાદ તંત્ર દોડતું થયું છે. વિપક્ષ નેતા સેહઝાદ ખાન પઠાણ અને ગૌ સેવકો સહિતના મોટી સંખ્યામાં લોકો ગૌશાળામાં ઉમટી પડ્યા હતા. ગૌશાળામાં ગાયોની હાલત જોઈને તેવો અવાક રહી ગયા હતા. ત્યાં ગંદકીનો અંબાર હતો. એક થી ત્રણ ફૂટ સુધી પાણી અને છાણા ભર્યા હતા. બીમાર હાલતમાં ગાયો મળમૂત્રમાં રજડતી હતી. પાંજરાપોળમાં
આ પાંજરાપોળમાં રાખવામાં આવેલી ગાયો પૈકી વીસ જેટલી ગાયોના મોત યોગ્ય જાળવણીનાં અભાવે અથવા પુરતો ખોરાક ના મળવાના કારણે થવા અંગે વિડીયો વાઈરલ થયો હતો. એક વર્ષ અગાઉ આ પાંજરાપોળ ઔડા હસ્તકથી મ્યુનિ.ને મળ્યું છે. હાલમાં ૧૨૦૦ આસપાસ ગાય ઉપરાંત અન્ય પશુઓ પણ રખાઈ રહ્યા છે જ્યાં માત્ર સ્થળ ઉપર ગંદકી-કીચડ છે.
આ બાબતે વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે, ભાજપ ગાયોનાં નામે વોટ માંગે છે પરંતુ ભાજપ શાસનમાં ગાય ‘માતા’ ગંદકીના અંબરમાં કણસવા માટે મજબૂર છે. એએમસીના શાસકો પાંજરાપોળના વહીવટમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ગાયના ચારા ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એએમસી સંચાલિત પાંજરાપોળમાં અને ગાયોના મોત થયા છે. ગંદકી અને વરસાદના પાણી વચ્ચે બીમાર ગાયો રજડી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાયની ખોરાકી માટે માલધારીઓ પાસેથી ₹500 ઉઘરાવે છે. આ ઉઘરાવેલા પૈસા ગાય પાછળ વાપરવામાં આવતા નથી. પાંજરાપોળના વહીવટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. પશુ પાંજરાપોળમાં સુરક્ષિત નથી. માલધારી મહાપંચાયતે એએમસીને 22 અને રાજ્ય સરકારને 13 આવેદનપત્રો આપ્યા છે. પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી. ભૂતકાળમાં દાણીલીમડા ઢોર બોક્સમાંથી 96 ગાય ગુમ થઈ ગઈ હતી. ગાયો ગુમ થવા અંગે તપાસ સમિતિ રચાઇ હતી. આ તપાસ સમિતિનો રિપોર્ટ આજ દિવસ સુધી આવ્યો નથી.
આ પણ વાંચો : જામનગરને સ્વસ્થ અને સ્વચ્છ શહેર કરવા વિપક્ષની માગ : ધરણા કરી આપ્યું આવેદન