કેપટાઉન ટેસ્ટમાં પરાજય બાદ ટીમ ઇન્ડિયા આવતીકાલથી સેન્ચુરીયન ખાતે શરુ થઈ રહેલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં વાપસીના ઈરાદે મેદાનમાં ઉતરશે.
પ્રથમ ટેસ્ટમાં વિજય બાદ દક્ષિણ આફ્રિકાનો આત્મવિશ્વાસ અત્યારે સાતમા આસમાને છે. તેમજ સેન્ચુરીયનની પીચમાં વધારે બાઉન્સ અને પેસ રાખવામાં આવી છે.
જેથી દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરોનો સામનો કરવો ભારત માટે મોટો પડકાર બની રહેશે. પ્રથમ ટેસ્ટ દક્ષિણ આફ્રિકાએ પોતાના બોલરોની મદદથી જીતી હતી. તે જાતા બીજી ટેસ્ટમાં પણ દક્ષિણ આફ્રિકાના બોલરો કિંગમેકર બની શકે છે. દક્ષિણ આફ્રિકાએ પહેલાથી જ જાહેરાત કરી છે કે, તેઓ આ મેચમાં ૪ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે.
ઈજાગ્રસ્ત ડેલ સ્ટેનના સ્થાને ક્રિસ મોરીસને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
બીજીબાજુ પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહેલ શિખર ધવન અને રોહિત શર્માના સ્થાને ભારત અજિંક્યે રહાણે અને કેએલ રાહુલને ટીમમાં સ્થાન આપી શકે છે.
જ્યારે બોલિંગમાં જસપ્રિત બુમરાહના સ્થાને ઈશાંત શર્મા અથવા ઉમેશ યાદવને ટીમમાં સ્થાન મળી શકે છે. બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા પણ ફીટ છે.
ત્યારે અશ્વિન અને જાડેજામાંથી કોને ટીમમાં સ્થાન મળશે તે જાવુ રસપ્રદ રહેશે. ભારતે આ મેચ જીતવા માટે બેટ્સમેનોએ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલીંગ આક્રમણનો તોડ શોધવો પડશે. કોહલી સહિતના બેટ્સમેનોએ લાંબી ઈનિંગ રમવી પડશે. તેમજ ટોપ ઓર્ડર પર પણ ટીમને સારી શરુઆત અપાવવાની જવાબદારી રહેશે.
ખાસ વાત એ છે કે સેન્ચુરીયનના મેદાનમાં આજ સુધી ભારત તો ઠીક પરંતુ એશિયાની કોઈપણ ટીમ ટેસ્ટ મેચ જીતી શકી નથી. જેથી ભારત પાસે આ ભૂતકાળને બદલવાની તક રહેશે.