@દિવ્યેશ પરમાર
સુરત પોલીસનો માનવીય અભિગમ સામે આવ્યો છે, નાના બાળકની વ્હારે સુરત પોલીસ આવી હતી અને પરિવારમાં ખુશીઓ ભરવાનું કામ પોલીસે કરી બતાવ્યું. પોલીસ હવે પોતાનો આ ચહેરો બદલવાનો પ્રયાસ કરી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા સતત શહેરમાં લોકો સાથે સંપર્ક વધે પોલીસની છાપ બદલાય તેવા પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે. પોલીસ આ પ્રયાસ છેલ્લાં કેટલાંય સમયથી કરી રહી છે અને હવે પોલીસને પોતાની છબિ બદલવામાં સફળતા પણ મળી રહે છે.
સુરત શહેર પોલીસ દ્વારા હવે સતત માનવીય અભિગમ દાખવવામાં આવી રહ્યો છે. સુરત શહેરમાં ‘શી ટીમ’ સતત કામ કરી રહી છે.. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ‘શી ટીમ’ને એક કામગીરી સોંપવામાં આવી કે જન્મથી જ કોઈ બાળક સાંભળી કે બોલી ન શકતું હોય તો તેની શોધ કરે આ પ્રકારનો આદેશ મળતાં જ ‘શી ટીમ’ના એક મહિલા લોકરક્ષક દયાબેન આવા જ એક બાળકને શોધવામાં સફળ થયા હતા.
દયાબેન રાંદેર વિસ્તારમાં બાળકની શોધ કરી રહ્યા હતા. ત્યારે તેઓ મૂળ અમદાવાદના ધંધૂકા તાલુકના વાગડના વતની કાનાભાઈ પરિવાર સાથે સુરતમાં રહે છે તેમને ત્યાં પહોંચ્યા કાનાભાઈ પોતાની પત્ની ગંગાબેન સાથે વર્ષોથી સુરતમાં રહે છે. કાનાભાઈ પશુપાલનનો વ્યવસાય કરી મહિને આશરે 15 હજારની આસપાસ કમાણી કરે છે. તેમને ત્યાં પાંચ વર્ષ પહેલા દીકરા રાજવીરનો જન્મ થયો હતો.
રાજવીર ઉપરાંત તેમની સૌથી મોટી દીકરી પણ સાંભળવામાં સક્ષમ ન હતી. ત્યારે આ પરિવાર દ્વારા જ્યારે બાળકો સાંભળી શકે તે માટે ઓપરેશનની તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે ઓપરેશનનો ખર્ચ 18 લાખ રૂપિયા થાય છે.. 18 લાખની રકમ સાંભળી પરિવારે બાળકોને ભગવાન ભરોસે છોડી મૂક્યા હતાં.
જો કે રંગોત્સવ 2023 આ પરિવાર માટે ખુશીનો માહોલ લઈને આવી. દયાબેને સુરત શી ટીમના વોટ્સએપ ગ્રુપમાં રાજવીર અંગે મેસેજ નાંખ્યો હતો. જેમાં રાજવીર પાંચ વર્ષ કરતાં નાનો છે અને તે જન્મથી જ સાંભળી શકતો નથી. ત્યારે સુરત ક્રાઈમ ડીસીપી રૂપલ સોલંકી દ્વારા રાંદેર પીઆઈ અતુલ સોનારાનો સંપર્ક કરી બાળકના ઓપરેશન માટે કોન્સેપ્ટ સમજાવીને બાળકોની હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. જ્યાં આ બાળકના ઓપરેશનનો કુલ ખર્ચ 10 લાખ આસપાસ થાય એમ હતો. જો કે પોલીસે મુંબઈની એક સંસ્થાનો સંપર્ક કરી સાંભળાનું મશીન દાન કરવા માટે સમજાવ્યું અને મશીન આવી પણ ગયું.
ત્યારબાદ સુરત પોલીસ દ્વારા “ઓપરેશન રાજવીર”ની તૈયારી શરૂ કરી દેવાઈ હતી. રાજવીરને 13 ઓક્ટોબર 2023ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને 15 ઓક્ટોબર 2023ના રોજ ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. જે ઓપરેશન સફળ થતાં 21 ઓક્ટોબર 2023ના રોજ રાજવીરને રજા આપી દેવામાં આવી હતી. હાલ રાજવીરને હોસ્પિટલમાં ઘરે લાવ્યા બાદ રાજવીરનું ઓપરેશન વિના મૂલ્યે થઈ જતાં માતા પિતાની આંખમાં હર્ષના આંસુ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો-સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી
આ પણ વાંચો- દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ
આ પણ વાંચો:નવા-જૂની/ ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીનું હબ બનાવવામાં આવે : અમરેલીના ખેડૂતે કહી મનની વાત