અમદાવાદ
સામાન્ય રીતે સાસરી પક્ષ દ્વારા પુત્રવધુ પર દબાણ આપવામાં આવે છે.પણ સરદારનગરમાં ગુરુવારે પુત્રવધુએ તેના સસરા પર કેરોસીન છાંટી દેતા ચકચાર મચી ગઈ છે. જુના વાડજમાં વેરસી પટેલની ચાલીમાં રહેતા હરીશભાઈ બચુભાઈ પટેલ (ઉ.વ ૬૦) ગુરુવારે સવારે પોતાના મોટા પુત્ર મનીષ સાથે કુબેરનગરમાં મોચીવાડામાં રહેતી તેમની પુત્રવધુને ત્યાં મળવા ગયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે તેમના નાના દીકરા અરુણની પત્ની કોમલ પારિવારિક ઝગડાને લીધે રિસાઈને ૬ મહિનાથી તેના પિયર ચાલી ગઈ હતી આથી હરીશભાઈ તેને મનાવવા માટે ગયા હતા. આ દરમ્યાન તેમની પુત્રવધુ કોમલ , તેની માતા મંજુબેન અને તેની બહેન માધવી હાજર હતા.
સમજાવટ વખતે તકરાર થતા કોમલની માતાએ હરીશભાઈને ધક્કો મારી નીચે પાડ્યા હતા.અને ત્યારબાદ તેમની પર કેરોસીન છાંટીને દીવાસળી નાખીને આગ ચાંપી દીધી હતી. હરીશભાઈનું શરીર સળગવા લાગ્યું હતું અને તેમની બુમો સાંભળીને તેમનો દીકરો મનીષ દોડતો આવ્યો અને તેને જોયું કે તેના પિતા આગમાં સળગી રહ્યા છે. મનીષ તત્કાલથી હરીશભાઈને સિવિલ હોસ્પિટલ લઇ ગયો પરંતુ ત્યાં સુધીમાં ૮૦ ટકા જેટલું હરીશભાઈનું શરીર દાજી ગયું હતું.
ગુરુવારે મોડી સાંજે સારવાર દરમ્યાન હરીશભાઈનું મૃત્યુ થયું હતું.ત્યારબાદ પોલીસે પીએમ માટે બોડીને મોકલી હતી. પોલીસે કલમ ૩૦૨ હેઠળ ૩ આરોપી પુત્રવધુ કોમલ,તેની માતા મંજુબેન અને તેની બહેન કોમલની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે હરીશભાઈ ૩૨ વર્ષથી સાઉદી અરેબિયા રહેતા હતા.તેઓ ફક્ત ચાર વાર જ ભારત આવ્યા હતા.