દિવાળીના તહેવારો અને દારુખાનાનો અનોખો નાતો છે. દિવાળીના તહેવાર હોય અને ફટાકડાના ફોડવામાં આવે તેવુ તો બને જ કેવી રીતે. માટે જ 108 હેલ્પલાઇનમાં કામ કરતા કર્મચારીઓ પહેલેથી જ સતર્ક થયા છે. દિવાળીમાં શહેરીજનો ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરતા હોય છે. જેના કારણે દાઝી જવાના તેમજ અકસ્માતના કેસોની સંખ્યા વધતી હોય છે. સામાન્ય દિવસોમાં 108 હેલ્પલાઇનને 2500 જેટલા ફોન આવતા હોય છે. જેની સંખ્યામાં દિવાળીમા 36 ટકાનો વધારો થાય છે. દિવાળી માટે 108 દ્વારા હેલ્પલાઇનમાં કામ કરતા કર્મચારીઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ અને પાયલોટ સહિત 4000 કર્મચારીઓ તહેનાત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, 2018માં સામાન્ય દિવસની સરખામણીએ નવા વર્ષમાં 14.46 ટકા અને ભાઈબીજે 8.48 ટકા ઇમરજન્સી કેસમાં વધારો થયો હતો. 2019માં સામાન્ય દિવસની સરખામણીએ નવા વર્ષમાં 25 ટકા, ભાઈ બીજના દિવસે 17.33 ટકા ઇમરજન્સી કેસમાં વધારો થયો હતો. 2020માં દિવાળીમાં ઇમરજન્સી કેસમાં 24.42 ટકા નવા વર્ષે 29.26 ટકા અને ભાઈબીજના દિવસે 37.81 ટકા ઇમરજન્સી કેસમાં વધારો થયો હતો. સુત્રો દ્ધારા મળતી માહિતી અનુસાર 2021માં સામાન્ય દિવસની સરખામણીએ ઇમરજન્સી કેસમાં દિવાળીએ 16 ટકા નવા વર્ષે 29.26 ટકા અને ભાઈબીજના દિવસે 36 ટકાનો વધારો થવાનું અનુમાન છે.