વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને લેણદારો આપઘાત સુધીનું પગલું ભરતા અચકાતા નથી. આવાજ એક બનાવમાં આનંદનગરમાં રહેતા બિલ્ડરે કરોડો રૂપિયા લીધા બાદ વ્યાજને મામલે વ્યાજખોરોના ભારે ત્રાસને કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડરે જ્યાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તે હોટેલના CCTV પોલીસ તપાસી રહી છે. કારણકે આરોપીઓ હોટેલમાં જઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોએ માથું ઉચક્યું છે. રાજ્યના અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વ્યાજખોરોના ત્રાસની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કેટલાય બનાવમાં કોઈ રસ્તો ન દેખાતા ભોગ બનાનારાઓ આપઘાત કરી લીધાના બનાવો નોંધાયા છે. આનંદનગરમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે રહેતા રાકેશકુમાર શાહ નામના બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળીને પાલડીની એપલ ઈન હોટેલમાં આશરો લીધો હતો. જ્યાં તેણે ઉંઘની 50 ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે આનંદનગર પોલીસે સંગમ પટેલ, અર્પિત શાહ અસ્પાલ શાહ, દિગપાલ શાહ, અશોક ઠક્કર, ચેતન શાહ, પંકજ પારેખ અને લક્ષ્મણ વેકરીયા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સેટેલાઈટમાં એમઆરવી વર્લ્ડ નામની કન્સ્ટ્રકશન કંપની ધરાવતા રાકેશભાઈએ આરોપીઓ પાસેથી કરોડો રૂપિયા વ્યાજે લીધા હતા. પરંતુ આરોપીઓ બળજબરીપુર્વક વ્યાજનું વ્યાજ માંગી વધુ રકમની માંગણી કરતા હતા. તેમણે રાકેશભાઈ પાસે પ્રોમિસરી નોટ પર સહીઓ પણ કરાવી લીધી હતી.
અંતે આરોપીઓની ઘરના સભ્યોને ઉઠાવી જઈને મારી નાંખવાની વારંવારની ધમકીથી કંટાળીને રાકેશભાઈએ ઘર છોડી દીધું હતું અને પાલડીની એપલ ઈન હોટેલમાં રહેવાનું શરૃ કર્યું હતું. તેમછતા આરોપીઓ ફોન પર સતત પૈસાની ઉઘરાણી કરતા હતા. અંતે કંટાળીને તેમણે રૂમમાંજ ઉંઘની 50 ગોળીઓ ખાઈ લીધી હતી. સારવાર અર્થે તેમને પ્રથમ એસવીપી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે પાલડીની લાઈફ કેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ત્રણ દિવસ તેમને આઈસીયુમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ રાકેશભાઈને અન્ય રૃમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમ છતા આરોપીઓ અસ્પાલભાઈ અને ચેતનભાઈ હોસ્પિટલમાં આવીને તુ હવે તો બચી ગયો છે જેથી તારી કિડની અને લીવર વેચીને પણ તારી પાસેથી પૈસા તો કઢાવીશું જ. તે સિવાય હોસ્પિટલમાંજ પતાવી દેવાની ધમકી પણ આપતા હતા. અમારી ઓળખાણ ક્યાં સુધી છે તેની તને ખબર નથી અને હોસ્પિટલમાંજ પતાવી દેવામાં અમને બહુ વાર નહી લાગે, એવી ધમકી આપતા હતા.
આ અંગે તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ વી.એમ.દેસાઈએ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હોટેલના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:‘સ્પર્શ મહોત્સવ’નો પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રીએ મહોત્સવનું કર્યું ઉદ્ઘાટન
આ પણ વાંચો:પતંગ રશિયાઓની મજા પક્ષીઓ માટે બની સજા, રાજકોટમાં કેટલા પક્ષીઓ ઘાયલ? ક્યા પક્ષીને વધુ પહોંચી ઈજા?
આ પણ વાંચો:નર્સનો આપઘાત, ગુમ થયાના ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી જ મળ્યો મૃતદેહ