અમદાવાદ,
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૧૦ મે, ૨૦૧૮ના રોજ ધોરણ ૧૨ સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ સાથે ગુજકેટનું પરિણામ પણ સાથે જ જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવામાં આવેલ ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાના પરિણામ જાહેર કરવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેના અંતર્ગત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનુ પરિણામ ૧૦ મેના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર (જીએસઈબી ડોટ ઓઆરજી) પર આ પરિણામ નિહાળી શકાશે. તેમજ ૧૦ મેએ માર્કશીટનું પણ વિતરણ કરાશે.
શાળાના આચાર્યોએ સવારે ૧૧થી ૪ કલાક દરમિયાન જિલ્લા વિતરણ કેન્દ્રો ખાતેથી પોતાની શાળાના વિદ્યાર્થીઓની માર્કશીટ મેળવી રહેવાની રહેશે. ત્યારબાદ તેના પર જરુરી સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓમાં માર્કશીટનુ વિતરણ કરવાનુ રહેશે.
બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનુ પરિણામ તા. ૨૧થી ૨૫ મે દરમિયાન જાહેર કરવામાં આવી શકે છે. આવી જ રીતે ધોરણ-૧૦નું પરિણામ પણ તા. ૨૮થી ૩૧ મેની વચ્ચે જાહેર કરવામાં આવી શકે છે. એટલે કે ચાલુ વર્ષે બોર્ડ દ્વારા તમામ પરિણામો મે મહિનાના અંત સુધીમાં જ જાહેર કરી દેવામાં આવશે.
હાલમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે. તેમજ અત્યારે પરિણામ બનાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની ઉત્તરવહી ચકાસવાની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ૧૨ માર્ચથી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ ૧૦માં ૧૧ લાખ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧.૩૪ લાખ અને સામાન્ય પ્રવાહમાં ૪.૭૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.