ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદે તાંડવ મચાવ્યું છે ત્યારે ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માનવ જિંદગી જોખમમાં મૂકાઇ હતી. જો કે, એનડીઆરએફની ટીમ દેવદૂત સમાન બની અનેક લોકોની જિંદગી બચાવી છે ત્યારે ખરેખર એનડીઆરએફ સહિતની ટીમ સલામને હકદાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે ત્યારે આર્મી, એસઆરપી અને પોલીસ કર્મીઓ દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 100થી વધુ લોકોને બચાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠાની બનાસ નદીમાં પૂર છે. જેના પગલે અનેક ગામોને એલર્ટ કરાયા છે.
એક હેલિકોપ્ટર-બે બોટ અને આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે.
આ ઉપરાંત પાટણના રાધનપુરમાં વરસાદ બાદ હવે ઘણા વિસ્તારમાં લોકો ફસાયેલા છે ત્યારે એસઆરપી તેમજ પોલીસ કર્મીઓઓ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયુ હતું. લોકોને રેસ્કયુ કરીને સરકારી શાળાઓના મકાનમાં રાખવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 250 મહિલાઓ અને બાળકો-વૃદ્ધો અને પાલતુ પશુઓને બચાવવામાં આવ્યા.જ્યારે શિહોરીમાં પણ પાણી ફરી વળતા અનેક લોકો ફસાયા છે. આર્મીની ટીમ શિહોરીમાં બચાવ કામગીરી સંભાળી રહી છે અને 80 લોકોને બચાવી લેવાયા છે.