ઊંઝા APMCની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી જેનું આજે પરિણામ આવ્યું છે. આ ચૂંટણી એટલા માટે અત્યંત મહત્વની બની હતી કારણ કે આ ચૂંટણીમાં ભાજપનાં જ બે જૂથ વચ્ચે ખરાખરીનો જંગ હતો. જેમાં કોંગેસમાંથી ભાજપમાં જોડાયેલા આશાબેન પટેલ અને નારણ પટેલનાં જૂથ વચ્ચે મહામુકાબલો હતો. જેનું આજ રોજ પરિણામ આવ્યું હતું અને મહેસાણામાં 33 વર્ષ બાદ ઊંઝા APMCમાં સત્તાપરિવર્તન જોવા મળ્યુ છે. જેમાં આશાબેન જૂથનાં વિકાસ પેનલની જીત થઇ છે અને સત્તાધારી પેનલનો કારમો પરાજય થવા પામ્યો હતો.
લોકસભા ચૂંટણી 2019 પછી ગુજરાતમાં મહેસાણા જિલ્લાનાં ઉંઝા માર્કેટીંગ યાર્ડની યોજાયેલી ચૂંટણી કશ્મકશ રહી અને અંતે ભાજપનો દબદબો યથાવત રહ્યો.પરંતુ વ્યક્તિગત રીતે ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઇ લલ્લુભાઇ પટેલ શાસનનો એકચક્રી શાસનનો અંત આવ્યો છે અને ભાજપનાં વર્તમાન ધારાસભ્ય ડો.આશાબેન પટેલની સમર્થક પેનલનો વિજય થયો છે. આપને જણાવી દઈએ કે, ઊંઝા APMCમાં છેલ્લા 20 વર્ષથી નારાયણ પટેલનો દબદબો રહ્યો હતો, જે આજે આશાબેન જૂથનાં વિકાસ પેનલની જીત થતા નારાયણ પટેલનાં પુત્ર ગૌરાંગ પટેલની પેનલનો રકાસ થયો છે.
મહેસાણા જિલ્લાનું આ ઉંઝા માર્કેટીંગયાર્ડ જીરા અને વરિયાળીનાં વેપારમાં ગુજરાત જ નહીં દેશમાં ઉંઝા માર્કેટીંગયાર્ડ અગ્રેસર છે. 33 વર્ષથી ઉંઝા માર્કેટીંગયાર્ડ પર ભાજપનાં પૂર્વ ધારાસભ્ય નારણભાઇ લલ્લુભાઇ પટેલનું એકચક્રી શાસન ચાલતું હતું પરંતુ આ વર્ષે યોજાયેલી ચૂંટણી અગાઉ લોકસભા ચૂંટણી 2019ને કેન્દ્રસ્થાને રાખીને કોંગ્રેસનાં ધારાસભ્ય ડો.આશાબેન પટેલ ભાજપમાં સામેલ થયા અને ત્યારબાદ ગત રવિવારે યોજાયેલી માર્કેટીંગયાર્ડની ચૂંટણીમાં ડો. આશાબેન પટેલે તેમના સમર્થક દિનેશ પટેલ સહિત સમર્થક વિકાસ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા તો નારણ પટેલે તેમના દિકરા જીતુ પટેલ સમર્થક પેનલ વિશ્વાસ પેનલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. ચૂંટણીમાં 94.95 ટકા મતદાન થયું. જો કે અંતે માર્કેટીંગયાર્ડમાં વિશ્વાસ પેનલ સભ્યોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ પુરવાર થઇ અને અંતે વિકાસ પેનલનો વિજય થયો.
એકંદરે સત્તાપરિવર્તનમાં ભાજપની સત્તા યથાવત રહી છે, જ્યારે નારણ પટેલ અને ડો. આશાબેન પટેલની આંતરિક રાજકીય લડાઇમાં ડો.આશાબેનનો વિજય થયો છે. અગાઉ લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ ડો.આશાબેન પટેલ સામે આ જ નારણભાઇ લલ્લુભાઇ પટેલે ન માત્ર ગાંધીનગર પરંતુ દિલ્હી દરબાર સુધી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને APMCમાં ડો.આશાબેન પટેલ સામે ઘડાયેલી રાજનીતિનો પર્દાફાશ પણ કર્યો, પરંતુ તેમાં નારણભાઇ લલ્લુભાઇ પટેલનો રાજકીય દાવ સફળ થયો નથી અને હવે વિશ્વાસ પેનલ સભ્યોનો વિશ્વાસ સંપાદન કરી શકી નથી અને વિકાસ પેનલ વિજેતા થતાં નારણભાઇ લલ્લુભાઇ પટેલનાં ઐતિહાસિક માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી રહેલાં એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. ત્યારે નવી વિકાસ પેનલ ખેડૂતોનાં હિતમાં કામ કરે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યાં છે.
ઉંઝા માર્કેટીંગયાર્ડમાં નારણ શાસનનો અંત આવ્યો છે, તો ડો આશાબેન શાસનનો ઉદય થયો છે. પરંતુ ભાજપનું શાસન તો અકબંધ જ રહ્યું છે, ત્યારે માર્કેટીંગ યાર્ડ ખેડૂતોનાં હિતમાં કાર્યરત રહે એમ ખેડૂતો પણ ઇચ્છી રહ્યાં છે.