- ઝેલેન્સકીએ પુતિન પર હુમલામાં યુક્રેનનો હાથ હોવાનો ઇનકાર
- રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર જોરદાર હુમલા
- યુક્રેનના ખેરસન વિસ્તારમાં 21થી વધુ લોકોના મોત
- મેદવેદેવ દ્વારા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને નાબૂદ કરવા અપીલ
ક્રેમલિન પર ડ્રોન હુમલા બાદથી રશિયા અને યુક્રેનમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયાએ આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો દાવો કર્યો છે. રશિયાએ એમ પણ કહ્યું કે આ હુમલાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાનો હતો. સાથે જ યુક્રેને રશિયાના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. ફિનલેન્ડની મુલાકાતે ગયેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ સ્પષ્ટતા કરી છે કે તેમણે પુતિન પર હુમલો કર્યો નથી. અમારી પાસે એટલાં શસ્ત્રો નથી. અમે ફક્ત અમારી જમીનની સુરક્ષા માટે લડી રહ્યા છીએ. તે જ સમયે, રશિયાએ કહ્યું છે કે તે ચોક્કસપણે આ હુમલાનો બદલો લેશે અને આ માટે તે સમય અને સ્થળ પોતે જ નક્કી કરશે.
ફિનલેન્ડના પ્રવાસે ગયેલા ઝેલેન્સકીએ કહ્યું હતું કે અમે પુતિન કે મોસ્કો પર હુમલો નથી કરી રહ્યા. અમે અમારી જમીન પર લડી રહ્યા છીએ. આ માટે અમારી પાસે પૂરતા હથિયારો નથી. અમે અમારા ગામો અને શહેરોની સુરક્ષા કરી રહ્યા છીએ. યુક્રેનની જમીન પર રશિયાના કબજા અંગે ઝેલેન્સકીએ કહ્યું કે આ રશિયાની જીત નથી. તે (પુતિન) હવે તેના સમાજને પ્રેરણા આપી શકશે નહીં અને તે હવે તેમની સેનાને વિના કારણે મરવા મોકલી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે યુક્રેનનું લક્ષ્ય નાટોનું સભ્ય બનવાનું છે. ફિનલેન્ડે ઝેલેન્સકીના દાવાને ટેકો આપ્યો છે.
વ્લાદિમીર પુતિનના કાર્યાલય પર ઘાતક ડ્રોન હુમલાથી ગુસ્સે ભરાયેલા રશિયાએ ગુરુવારે યુક્રેનની રાજધાની કિવ અને દેશના અનેક મોટા શહેરો પર જોરદાર હુમલા કર્યા હતા. કિવ, ઓડિશા સહિત ઘણા શહેરોમાં ભીષણ વિસ્ફોટ થયા છે. યુક્રેને કહ્યું છે કે રશિયા તરફથી ડઝનબંધ લેન્ડમાઈન ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓ બાદ યુક્રેને પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને એલર્ટ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયા દ્વારા કરવામાં આવેલા આ ભીષણ હુમલામાં ખેરસન વિસ્તારમાં 21થી વધુ લોકો માર્યા ગયા છે. આ પહેલા રશિયાએ વચન આપ્યું હતું કે તે પુતિન પર થયેલા ખૂની હુમલાનો જડબાતોડ જવાબ આપશે.
યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે કિવમાં એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાના 24માંથી 18 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. કિવના પ્રશાસનનું કહેવું છે કે છેલ્લા 4 દિવસમાં ત્રીજી વખત રશિયાએ મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે, જેને હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રશિયન સેના ઈરાનના આત્મઘાતી ડ્રોન અને મિસાઈલોની મદદથી હુમલા કરી રહી છે. આ સાથે જ રશિયાએ યુક્રેનના અન્ય શહેર ઓડેસા પર પણ ડ્રોન હુમલો કર્યો છે.
તમને જણાવી દઈએ કે બુધવારે રશિયાએ દાવો કર્યો હતો કે તેણે યુક્રેન દ્વારા ક્રેમલિન પર કરાયેલા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. ઉપરાંત, તેમણે તેને ‘આતંકવાદી’ કૃત્ય ગણાવ્યું હતું, અને તેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિએ આ વાતનો ઈન્કાર કરતા કહ્યું કે, ‘અમે પુતિન કે રશિયા પર હુમલો કર્યો નથી.’ રશિયન રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટીને જણાવ્યું હતું કે પુતિન તે સમયે ક્રેમલિનમાં ન હતા અને મોસ્કોની બહારના તેમના નોવો-ઓગાર્યોવો નિવાસસ્થાનમાં હતા. કથિત હુમલાની કોઈ સ્વતંત્ર ચકાસણી કરવામાં આવી નથી, રશિયન અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ ઘટના રાતોરાત બની હતી પરંતુ આને ચકાસવા માટે કોઈ પુરાવા આપ્યા નથી.
ક્રેમલિનને ઘટનાની જાણ કરવામાં આટલો લાંબો સમય કેમ લાગ્યો અને વીડિયો પાછળથી કેમ સામે આવ્યો તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક મોસ્કો ન્યૂઝ ટેલિગ્રામ ચેનલ પર રાતોરાત શેર કરવામાં આવેલ વિડિયોમાં ક્રેમલિન નજીક નદીની આજુબાજુથી ગોળી ચલાવવામાં આવી રહી છે અને ઇમારતોમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. ઘટનાની સચ્ચાઈ જાણી શકાતી નથી. વીડિયો સાથે આપવામાં આવેલી વિગતો અનુસાર, નજીકના એપાર્ટમેન્ટ બિલ્ડિંગના રહેવાસીઓએ સવારે 2.30 વાગ્યાની આસપાસ ધુમાડાના ગોટેગોટા અને વિસ્ફોટના અવાજો સાંભળ્યા હોવાની જાણ કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી માત્ર એક દિવસ માટે ફિનલેન્ડ પહોંચ્યા હતા. જોકે, ક્રેમલિન પર થયેલા ડ્રોન હુમલા બાદ બદલો લેવાના ભયને કારણે તેમની યાત્રામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. તે હવે ફિનલેન્ડમાં વધુ થોડો સમય રોકાશે. સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ થયા બાદ જ તે યુક્રેન પરત ફરશે. યુક્રેનને આશંકા છે કે રશિયા બદલો લેવાના નામે ઝેલેન્સકીને નિશાન બનાવી શકે છે. આવી સ્થિતિમાં ઝેલેન્સકીની સુરક્ષા માટે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ડ્રોનની મદદથી મારવાનો પ્રયાસ કર્યો હતો, બુધવારે ક્રેમલિનના આ નિવેદને દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. હવે આ પર રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવની પ્રતિક્રિયા આવી છે. મોસ્કોએ કિવ પર ક્રેમલિન પર ડ્રોન હુમલો કરવાનો આરોપ લગાવ્યા પછી મેદવેદેવે બુધવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના “શારીરિક નાબૂદી” માટે હાકલ કરી હતી. રશિયાએ યુક્રેનના આ પ્રયાસને આતંકવાદી પ્રયાસ ગણાવ્યો છે.
રશિયાએ જણાવ્યું હતું કે હુમલા પહેલા ડ્રોનને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ‘આજના આતંકવાદી હુમલા પછી, ઝેલેન્સ્કી અને તેની ટોળકીને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી’, મેદવેદેવે કહ્યું, જેઓ યુક્રેન પર મોસ્કોના આક્રમણ પછી વધુને વધુ આક્રમક બની રહ્યા છે. બીજી તરફ ક્રેમલિને કહ્યું છે કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલાના જવાબમાં રશિયાને જ્યાં પણ અને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે અમને આનો જવાબ આપવાનો પૂરો અધિકાર છે.
RT અહેવાલ મુજબ, અધિકારીઓએ કહ્યું છે કે બે યુક્રેનિયન ડ્રોને ક્રેમલિન પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુતિનના કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આતંકવાદી હુમલામાં રાષ્ટ્રપતિ ઘાયલ થયા નથી અને ક્રેમલિન સંકુલને નુકસાન થયું નથી. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આરઆઈએ નોવોસ્ટીને જણાવ્યું હતું કે ડ્રોન હુમલા સમયે રાષ્ટ્રપતિ ક્રેમલિનમાં હાજર નહોતા. વધુમાં ઉમેર્યું હતું કે પુતિન બુધવારે મોસ્કો નજીકના તેમના નોવો-ઓગાર્યોવો નિવાસસ્થાનમાં કામ કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિના કાર્યાલયે જણાવ્યું હતું કે પુતિનના ક્રેમલિન નિવાસસ્થાનને મારવાના ઈરાદાથી યુક્રેન રાતોરાત બે ડ્રોન હુમલાઓ કર્યા હતા.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડ્રોનને ઈલેક્ટ્રોનિક યુદ્ધના ઉપાયોનો ઉપયોગ કરીને નીચે લાવવામાં આવ્યું હતું. આ હુમલામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી. મોસ્કોએ આ ઘટનાને આતંકવાદનું કૃત્ય ગણાવ્યું છે.પ્રમુખના કાર્યાલયના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી અને ક્રેમલિનના મેદાનમાં બંને માનવરહિત હવાઈ વાહનોને ઠાર કરવામાં આવ્યા હતા. RTના અહેવાલ મુજબ, તેમના સમયપત્રકને અસર થઈ ન હતી. અહેવાલો મુજબ, આ ઘટના વિજય દિવસ અને 9 મેની પરેડ પહેલા બની છે જ્યારે વિદેશી મહેમાનો હાજર રહેવાની અપેક્ષા હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ક્રેમલિનની પાછળ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:શાહબાઝ શરીફે નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસનો મત મેળવ્યો, ઇમરાન સ્તબ્ધ
આ પણ વાંચો: રશિયા યુક્રેનમાં વિશેષ સૈન્ય કાર્યવાહીના ઉદ્દેશો છોડશે નહીં, યુદ્ધવિરામનો કર્યો અસ્વીકાર
આ પણ વાંચો: અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે મળીને બનાવશે પરમાણુ હથિયાર, અમેરિકા મિસાઇલોથી સજ્જ સબમરીન કરશે તૈનાત
આ પણ વાંચો:પાકિસ્તાની-કેનેડિયન લેખક તારેક ફતાહનું 73 વર્ષની વયે અવસાન
આ પણ વાંચો:વિમાન સાથે પક્ષી અથડાયું, એન્જિનમાં આગ લાગી, જાણો ક્યાંનો છે મામલો?