અમદાવાદમાં ડામરના ડુપ્લીકેટ અને ખોટા બિલોના મુદ્દાએ ભ્રષ્ટાચારના વિવાદમાં નવો રંગ ઉમેર્યો છે. ૬૦૦થી ૭૦૦ કરોડના ત્રણ વર્ષમાં થયેલા રોડ-રસ્તાના કામોમાં ૨૫ ટકા જેટલો ડામર ઓછો વપરાયો હોવાથી ૧૫૦ કરોડ જેટલો ભ્રષ્ટાચાર થયો છે.આ દરમ્યાન તમામ વિગતો વિજીલન્સના રિપોર્ટ સાથે આગામી ૧૦થી ૧૨ દિવસમાં જાહેર થઇ જશે તેમ માનવામાં આવે છે.
તૂટેલા રોડ જે કોન્ટ્રાકટરે બનાવ્યા હતા તેમની પાસે જ નવેસરથી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્લેકલિસ્ટ થયેલા ત્રણ કોન્ટ્રાક્ટરો પૈકી બે કોન્ટ્રાક્ટરોએ રોડ રિસરફેસની કામગીરી શરૃ કરી દીધી છે, જ્યારે ત્રીજા કોન્ટ્રાક્ટર અગ્રવાલ શોધ્યા ઝડતા નથી. અગ્રવાલની ઓફિસ બંધ થઇ ગઇ છે અને તેમનો સંપર્ક થઇ શકતો નહીં હોવાનું એન્જિનિયરોએ ભાજપના સત્તાવાળાઓને જણાવી દીધું છે.
કર્મચારી, અધિકારી, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાના થશે તેનો વ્યાપ વધતો જાય છે. દરમ્યાનમાં આજે મળેલી રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીની બેઠકમાં એન્જિનિયરો તૂટેલા રોડની યાદી આપવાના હતા તે ચેરમેનને આપી નથી. જોકે રોડમાં ઉપડેલી કપચી અને ઉઘાડ નીકળતા જ ઉડતી ધૂળ, રોડના ગાબડાં, લોકોની ફરિયાદો વગેરે મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ચેરમેને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કોન્ટ્રાક્ટરના ટેન્ડરોમાં જે શરતો હોય તેનું અક્ષરશઃ પાલન કરાવવાની જવાબદારી કોની ? જો તમારી જવાબદારી હતી તો તમે તેનું પાલન કર્યું છે, ખરું ? ઉપરાંત તૂટેલા રોડમાં ગેરંટી પિરિયડવાળા કેટલા હતા અને ગેરંટી પૂરી થઇ ગઇ હોય તેવા રોડ કેટલા હતા ? આ પ્રશ્નોના જવાબો કોઇ આપી શક્યું ના હતું.