- ઘરની સ્ત્રી, પુત્રવધુ અને દીકરી ખુશ હોય ત્યાં કાયમ લક્ષ્મીનો વાસ હોય છે
- છેલ્લા 40 વર્ષથી કોટેચા પરિવાર કુટુંબની પુત્રવધુઓની પૂજા કરે છે
- મહિલાઓને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માને છે કોટેચા પરિવાર
નારી તુ નારાયણી કહેવતને સાર્થક કરતા જૂનાગઢના કોટેચા કુટુંબ દ્વારા છેલ્લા 40 વર્ષથી દિવાળીના પાવન પર્વ નિમિત્તે લક્ષ્મી પૂજનના દિવસે સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવારના પુરુષો દ્વારા કોટેચા કુટુંબની દીકરી, પત્ની અને પૂત્રવધુઓની પૂજા કરવામાં આવે છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લક્ષ્મીપૂજનમાં લોકો ઘરમાં રહેલા પૈસા, ચોપડા, હિસાબોનું પૂજન કરે છે. અમારો કોટેચા પરિવાર પોતાની દીકરી અને પુત્રવધૂઓની પૂજા કરે છે. છેલ્લાં 40 વર્ષથી કોટેચા પરિવારની સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે.
પુણ્યનો પર્યાય એટલે કે, ગૃહની લક્ષ્મીની પૂજા અર્ચના કરી તેમની માફી માગવામાં આવે છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ વધુમાં જણાવ્યું હતું કે, તમારા ઘરમાં જે પણ મહિલાઓ છે તેમનું પૂજન કરવું જોઇએ. જે ઘરમાં સ્ત્રી રાજી હોય છે ત્યાં કોઇ દિવસ લક્ષ્મી ખૂટતી નથી. ઘરમાં શાંતિ રહે છે. તેમની પાસે માફી પણ માંગી લેવી. જેનાથી સંયુક્ત ભાવના પણ વધે છે અને સુખ-શાંતિ રહે છે.
ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનાં પત્નીએ જણાવ્યું હતું કે, અમારા ઘરમાં વર્ષોથી બધી પુત્રવધૂઓનું પૂજન કરવામાં આવે છે. જે ઘરમાં મહિલાઓનું પૂજન થતું હોય તેને બીજે ક્યાંય લક્ષ્મી શોધવા જવું નથી પડતું. દીકરી અને વહુ જે ઘરમાં હસતી હશે તે ઘરમાં વાસ્તુશાસ્ત્રના કોઇ નિયમ લાગુ પડતા નથી.
આ લોહાણા પરિવારના પતિ પોતાની પત્ની, માતા દીકરીઓની આરતી ઉતારે છે. તેમનું પૂજન-અર્ચન કરે છે અને તેમના આશીર્વાદ પણ લે છે. આ પરિવારના લોકો પોતાના ઘરમાં રહેતી મહિલાઓને લક્ષ્મીનું રૂપ માને છે. ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ત્યાં આ ઉત્સવ ઊજવાય છે.
જૂનાગઢના લોહાણા પરિવાર વર્ષોથી લક્ષ્મીપૂજનના દિવસે પોતાના ઘરની મહિલાઓની પૂજા કરે છે. તેમનું માનવું છે કે, ઘરમાં જે લક્ષ્મી છે તેનું માન-સન્માન કરવું જોઈએ તેથી ક્યારેય દુઃખ નથી આવતું. દિવાળીના દિવસે સામાન્ય રીતે લોકો ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરતાં હોય છે પરંતુ જૂનાગઢમાં લક્ષ્મીપૂજનના દિવસે કોટેચા પરિવાર પોતાની માતા, દીકરી, પત્ની પુત્રવધૂનું પૂજન કરે છે. દિવાળીના તહેવારમાં સૌ કોઈ લક્ષ્મી માતાની પૂજા કરી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરે છે. જ્યારે કોટેચા પરિવાર દર વર્ષે દિવાળીમાં સ્ત્રીઓની પૂજા કરીને સમાજને એક સંદેશ પહોંચાડે છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો પરિવાર દર વર્ષે દિવાળીમાં લક્ષ્મીપૂજા કરવાને બદલે ગૃહલક્ષ્મી એટલે કે, ઘરની તમામ મહિલાઓનું પૂજન કરે છે, આ પરિવાર ઘરની સ્ત્રીઓને જ લક્ષ્મી માતાનો સાક્ષાત્ અવતાર માને છે.
કોટેચા પરિવારનું માનવું છે કે, ઘર કે સમાજમાં સ્ત્રીઓને સન્માન આપવાથી જ જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ આવે છે. આપણા ધર્મમાં નારી શક્તિનું અનેરું મહત્ત્વ છે, સૌ કોઈ નારી સ્વરૂપમાં માતાજીની તો પૂજા કરે છે પણ સાથે સાથે ઘરની અને સમાજની મહિલાઓને પણ ખરા અર્થમાં સન્માન અને સમાજમાં આગવું સ્થાન મળે તે જરૂરી છે. આનાથી અંદરથી આનંદની અનુભૂતિ થાય છે, તો આવી દરેકને પ્રાર્થના કરું છું કે તમારા ઘરમાં જ્યારે પુત્રવધૂ આવે ત્યારે તેને દીકરી જેવો પ્રેમ આપો પછી જુઓ, એ તમને મા કરતાં પણ વધારે પ્રેમ આપશે.