- યાત્રાધામ શામળાજીનો કુદરતી નજારો ખીલ્યો
- ડુંગરો ઉપર હરિયાળી છવાતા અદભુત નજારો
- ડુંગરોની હરિયાળીને પગલે કાશ્મીર જેવો નજારો
- લીલા છમ ડુંગરોની વચ્ચે બિરાજમાન છે કાળીયા ઠાકર
શામળાજી : છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. મેઘરાજા મહેરબાન થતાં પ્રકૃતિ જીવંત બની વહેતી થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડુંગરા ઉપર વનરાજી ખીલી ઉઠી છે. ધરતી જાણે નવોઢા બની લીલી ઓઢણી ધારણ કરીને બેઠી છે. ડુંગરો ઉપર હરિયાળી છવતા કશ્મીર જેવો નજારો સર્જાયો છે. ખીલેલી પ્રકૃતિ વચ્ચે શાંતિથી ભગવાન શામળીયાની ઝાંખી અને દર્શન થાય. અને અદ્ભુદ આહ્લાદક આનંદ મળે.
પહાડોની વચ્ચે , પહાડોથી ઘેરાયેલું અને આજુ બાજુ સોલંકી યુગની અનેક ઐતિહાસિક ઇમારતો -ખંડેરોને સાચવતું ગામ એટલે શામળાજી. મેશ્વો નદીને કિનારે વસેલું આ ગામ અને મંદિર એની પછીતે આવેલાં મેશ્વો ડેમ અને અને એના ડેમ સરોવરને કારણે અતિસુંદર લાગે છે. અને ખીલેલી વનરાજી એમાં વધારો કરે છે. શાંતિ,સુંદરતા અને નિરવતા એ શામળાજી મંદિર અને શામળીયાના દર્શન અદ્ભુત છે.
હરિયાળી પ્રકૃતિ અને શામળીયાની કાળા સંગેમરમરની અદ્ભુત શાંત ચિત્તવાળી મૂર્તિ સાથે મંદિરની દીવાલો પરની કોતરણી તમને સેલફી લીધા વિના પાછા નહીં ફરવા દે. મેશ્વો નદીના કિનારે અને ભિલોડા તાલુકાની અંદર પ્રકૃતિની ગોદમાં બિરાજેલા ભગવાન શામળિયો અને હાલમાં જ પડેલા વરસાદે અહીં ની સુંદરતામાં ચાર ચંદ્ર લગાવ્યા છે.