અમદાવાદ,
શહેરના ઓઢવ વિસ્તારના જીવનજ્યોત સોસાયટી પાસે આવેલા સરકારી વસાહતના ૪ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. સરકારી વસાહતની આ ચાર માળની બિલ્ડીંગમાં બે બ્લોક ધરાશાયી થયા છે અને આ ઘટનામાં ૮ થી ૧૦ લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
યુદ્ધના ધોરણે હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન
બીજી બાજુ ફાયરબ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. હાલમાં ફાયર ફાઈટરની ૧૫ જેટલી ગાડીઓ અને ૮૦ ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ચુક્યા છે, તેમજ NDRFની ટીમ પણ ત્યાં પહોંચી ચૂકી છે. સાથે સાથે DCP સહિતના પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
આ ઉપરાંત ઘટનાસ્થળે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ પહોંચી ચુક્યા છે.
મળતી માહિતી મુજબ, ફાયરબ્રિગેડ દ્વારા હાથ ધરાઈ રહેલા રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યારસુધીમાં ૬ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્તનોને નજીકની શારદા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આ બિલ્ડીંગના કાટમાળમાં દટાયા લોકોનો આંકડો હજી વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નોટીસ પાઠવ્યા બાદ પણ રહેવાસીઓ બિલ્ડીંગમાં દાખલ થયા હતા અને આ ઘટના બની છે : મ્યુ. કમિશનર
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું, “આ ચાર માળી બિલ્ડીંગના બે બ્લોકમાં કુલ ૩૨ મકાનો છે. આ બિલ્ડીંગ જર્જરિત હોવાની માહિતી મળ્યા બાદ રહેવાસીઓને AMC દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ પણ મકાન ખાલી નહિ કરાતા શનિવારે અધિકારીઓ તેમજ પોલીસના કાફલા સાથે મકાન ખાલી કરાવી દેવાયા હતા, પરંતુ તેમ છતાં આજે બે પરિવારો વધુ એકવાર બિલ્ડીંગમાં દાખલ થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે અને હાલમાં કાઠમાળમાં ૮ થી ૧૦ લોકો દબાયા હોવાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ યુધાના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે”.
ત્યારે હવે સવાલો ઉભા થઇ રહ્યા છે કે, તંત્ર દ્વારા નોટીસ પાઠવ્યા બાદ પણ આ પ્રકારની ઘટના બની છે તો આ માટે કોણ જવાબદાર છે.
દિનેશ શર્માએ તંત્ર પર લગાવ્યા ઘોર બેદરકારીના આરોપ
જો કે અમદવાદા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માએ મંતવ્ય ન્યુઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “તંત્રની ઘોર બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના બની છે. આ માટે કોર્પોરેશન અને સત્તારૂઢ પાર્ટીભાજપના શાસકો જવાબદાર છે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બિલ્ડીંગને ખાલી કરવા માટે રવિવાર સવારે જ નોટીસ તંત્ર દ્વારા આપવામાં આવી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા ત્યાના રહેવાસીઓ માટે કોઈ વૈકલ્પિક સુવિધા ઉભી કરવામાં આવી ન હતી, ત્યારે આ પ્રકારની ઘટના બની છે”.
વધુ વિગત માટે જુઓ: અમદાવાદ: ઓઢવમાં સરકારી આવાસ ધરાશયી થતાં એકનું મોત, થર્ડ પાર્ટી દ્રારા ઇન્સપેક્શન હાથ ધરાશે