અનિલ સ્ટાર્ચ તે 75 વર્ષથી પણ જૂની કંપની બાપુનગરમાં આવેલી હતી. વર્ષ 1939માં તેની સ્થાપના કરવામાં આવી હતી. કંપની મુખ્યત્વે સ્ટાર્ચ અને ગ્લુકોઝનું ઉત્પાદન કરતી હતી. અનિલ સ્ટાર્ચ લિમિટેડ તે શેર બજારમાં લિસ્ટેડ કંપની ધરાવતી હતી. અનિલ સ્ટાર્ચ સૌથી પહેલા અનિલ પ્રોડક્ટ લિમિટેડ ના નામે ઓળખાતી હતી ત્યારબાદ તેનું નામ બદલીને અનિલ લિમિટેડ નામ કરવામાં આવ્યું હતું. અનિલ લિમિટેડ તે શેર બજારમાં લિસ્ટેડ કંપની હોવાથી રોકાણકારો પાસેથી તેમની ડીપોઝીટ લઇ શકાય તેમ નહોતી જેથી પ્રમોટર્સ દ્વારા અનિલ બાયોકેમ, અનિલ ન્યુટ્રીયન્ટસ, અનિલ માઈન્સ એન્ડ મિનરલ, અનિલ ટ્રેડકોમ, અનિલ લાઈફ સાયન્સ જેવી અઢળક સિસ્ટર કંપનીઓ બનાવવામાં આવી હતી.
પ્રમોટર્સ અનિલ લિમિટેડના નામની લોભામણી જાહેરાત કરીને ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન,મધ્યપ્રદેશના રોકાણકારો અને બેન્કો તરફથી કરોડો રૂપિયા ડીપોઝીટ તરીકે એકત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોર્પોરેટ ડીપોઝીટ તરીકે પ્રમોટર્સ દ્વારા અનિલ લિમિટેડમાં રોકાણ કરવામાં આવતું હતું. રોકાણકારો કે જેઓ વિધવા, સીનીયર સિટિઝન્સ અને પેન્શનરો હોય તેમને 12 ટકા વ્યાજે રૂપિયા આપવામાં આવશે તેવી લોભામણી જાહેરાત પણ આપવામાં આવી હતી. આ ડીપોઝીટની રકમ અને વ્યાજ સમયસર ન મળવાના કારણે રોકાણકારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. હોબાળાને શાંત કરવા માટે પ્રમોટર્સ દ્વારા અનિલ લિમિટેડ વતી ચેક પણ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જોકે આપવામાં આવેલા ચેક રિટર્ન થયા હતા અને તેમણે મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ અને હાઈકોર્ટમાં જઈને આ અંગેની અરજી દાખલ કરી હતી. કોર્ટોએ આ મુદ્દે સમન્સ પાઠવ્યા હતા. અમોલ શેઠ દ્વારા પોતાની કંપની અને નિવાસ સ્થાન પણ બદલી ગાંધીનગરના કોઈક ખાનગી ફાર્મમાં રહેવા માટે જતા રહ્યા હોવાની વાત પણ સામે આવી હતી.
આ મુદ્દે રોકાણકારોના વકીલ હિતેન્દ્ર રાવલે જણાવ્યું છે કે, પ્રમોટર્સ સામે આશરે 700 ચેક રિટર્ન થયા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ આંકડો 2000 કરોડ રૂપિયાને પાર પહોચી ગયો છે.
અનિલ સ્ટાર્ચમાં રોકાણ કરનારા લોકોએ જણાવ્યું હતું કે, અમે અમારી આખી જિંદગીની કમાણીનું રોકાણ કર્યું હતું, કંપનીના વ્યાજ પર અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું. અમારા નાણા પરત આવશે કે કેમ તેની ચિંતા છે.