કોંગ્રેસ પાર્ટી ઉત્તરાખંડથી લોકસભા ચૂંટણી 2024નો શંખનાદ કરશે. આજે 28 જાન્યુઆરીના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મલ્લિકાર્જૂન ખડગે આજે રવિવારના રોજ જાહેર સભાને સંબોધશે અને આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે ઉત્તરાખંડમાં પાર્ટીના પ્રચારની શરૂઆત કરશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે આ માહિતી આપી. રાવતે જણાવ્યું કે ખડગે સમગ્ર દેશનો પ્રવાસ કરી રહ્યા છે અને “અમે આભારી છીએ કે તેમણે પરિવર્તન માટે આહવાન કરવા માટે ઉત્તરાખંડને પસંદ કર્યું છે.” તેમણે શનિવારે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો અર્થ ન્યાય છે. ઉત્તરાખંડમાં આ યાત્રાને સમર્થન આપતો પાર્ટી અધ્યક્ષ ખડગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ઉત્તરાખંડ આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ તેમના આગમનથી ઉત્સાહિત છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉત્તરાખંડમાં રેસકોર્સ વિસ્તારમાં બન્નુ સ્કૂલના મેદાનમાં જાહેર સભાથી આગામી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે જણાવ્યું કે રાહુલ ગાંધી ન્યાય યાત્રા એ દેશમાં પરિવર્તન માટે યોજવામાં આવી રહી છે. આ યાત્રા દ્વારા તેઓ સમાજના તમામ વર્ગો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. પછી તે મહિલાઓ હોય, બેરોજગાર યુવાનો હોય કે ખેડૂતો હોય. દેશમાં અત્યારે એકાધિકાર શાસન ચાલી રહ્યું છે ત્યારે અને મરજી મુજબ કાયદા ઘડવામાં આવી રહ્યા છે તેમ તોડવામાં આવી રહ્યા છે. આ બંધારણનું પણ ઉલ્લંઘન કહેવાય. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં હાલ ‘વિકાસ-વિકાસ-વિકાસ’ની બડાઈઓ મારવામાં આવી રહી છે પરંતુ તેમાં વાસ્તવિકતા ભૂલવામાં આવી રહી છે. ગરીબો, મધ્યમ વર્ગ અને સામાન્ય જનતાની મુશ્કેલીઓ ટોચના માણસોના ધ્યાન બહાર છે. આથી ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે જેથી ખરેખર લોકોની વાસ્તવિક સ્થિતિનો ચિતાર શાસનકર્તાઓને ખ્યાલ આવે.
પાર્ટીએ પરેડ ગ્રાઉન્ડ પર જાહેર સભા યોજવા માટે જિલ્લા વહીવટીતંત્ર પાસે પરવાનગી માંગી હતી પરંતુ પરવાનગી આપવામાં આવી ન હતી કારણ કે દેહરાદૂન સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગ રૂપે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને તેની સુરક્ષા માટે કોઈ મોટી જાહેર સભા અથવા જાહેર કાર્યક્રમ યોજી શકાશે નહીં તેવું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જાહેર સભાને લઈને પોલીસ લાઈન્સમાં તેમના હેલિકોપ્ટરને લેન્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવતા નારાજ કોંગ્રેસીઓએ પોલીસ હેડક્વાર્ટરનો ઘેરાવ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કલાકો સુધી હંગામો મચાવ્યો હતો. આ મામલો તેમના ધ્યાન પર આવ્યા બાદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દરમિયાનગીરી કરી હતી. તેમના હસ્તક્ષેપને કારણે મામલો શાંત પડ્યો હતો અને મંજૂરી આપવામાં આવી હતી.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે તે ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકાર દ્વારા સમગ્ર દેશમાં પાર્ટીના કાર્યક્રમોને વિક્ષેપિત કરવાનું કાવતરું હતું અને “આસામમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને જે રીતે વિક્ષેપિત કરવામાં આવી હતી તેનાથી આ સ્પષ્ટ થાય છે કે કેન્દ્રની ભાજપ સરકાર ન્યાય યાત્રાથી ડરી ગઈ છે. અને તેને અટકાવવા તમામ પ્રયાસો કરી રહી છે. નોંધનીય છે કે ઉત્તરાખંડમાં પાંચ લોકસભા બેઠકો છે, જે હાલમાં સત્તાધારી ભાજપ પાસે છે.
આ પણ વાંચો:UP-Seat Deal/યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ, કોંગ્રેસ 11 બેઠક પર લડશે
આ પણ વાંચો:Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન