અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આમાં સૌથી મોટું આશ્ચર્ય આ વાતનું છે કે તોફાની, ઝગડાખોર અને ઉદ્ધત વ્યક્તિઓ હથિયાર (Gun) નું લાયસન્સ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી દેતાં હોય છે. અમદાવાદ શહેરમાં આ સમયે ૪૦૦૦ વ્યક્તિઓ પાસે હથિયારનું લાયસન્સ છે.
સ્ટેટ્સ સિમ્બોલ માટે હથિયાર
એ વાત સમજાતી નથી કે, લોકો શું કામ પોતાની પાસે હથિયાર (Gun) રાખવા માંગે છે? આની પાછળ ક્યાંક સમાજમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે અથવા તો સ્ટેટ્સ સિમ્બોલ તો કારણ નથીને. આખરે અમદાવાદ શહેરમાં Gun (ગન) કલ્ચર વધવાની પાછળનું કારણ શું છે? આ જ ગન કલ્ચર જ કેટલીક વખત કોઈના મોતનું કારણ પણ બની જાય છે.
કોને મળી શકે છે લાયસન્સ
હથિયારોનું લાયસન્સ સામાન્ય રીતે આંગડિયા પેઢી, સોના-ચાંદીના વેપારીઓ, બિલ્ડર અને અતિમહત્વપૂર્ણ વ્યક્તિઓને સુરક્ષાના કારણોસર આપવામાં આવે છે. આવા લોકોને લાયસન્સ આપવામાં પણ સંપૂર્ણપણે સાવધાની રાખવામાં આવે છે. આમ છતાં પણ આ હથિયાર કોઈના મોતનું કારણ પણ બની જાય છે. તાજેતરમાં અમદાવાદના બિલ્ડર ધર્મેન્દ્ર શાહે પોતાની બે રિવોલ્વરથી પત્ની અને બે પુત્રીઓને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં.
અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં છે સૌથી વધુ હથિયારના લાયસન્સ
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં સૌથી વધુ હથિયારના લાયસન્સ ખાડિયા પોલીસ મથક, સેટેલાઈટ પોલીસ માથક, વસ્ત્રાપુર પોલીસ મથક, સોલા પોલીસ મથક અને વટવા પોલીસ મથક વિસ્તારમાં રહેતા લોકો ધરાવે છે. કેટલીક વખત હથિયારોના લાયસન્સ ધારકો તેનો ઉપયોગ પોતાનો દબદબો (વર્ચસ્વ) જાળવવા માટે કરતા હોય છે. જો આ અંગેની જાણકારી કે માહિતી પોલીસની પાસે હોય તો તેમનું લાયસન્સ રદ્દ કરવામાં આવી શકે છે.
આ પ્રક્રિયાથી મળી શકે છે લાયસન્સ
હથિયારનું લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા અંગે વાત કરીએ તો આમાં સામાન્ય રીતે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને પોલીસ કમિશનરના કાર્યાલયમાં નિયત ફી ભરીને મેળવી શકાય છે. કોઈ વ્યક્તિને લાયસન્સ આપવું કે નહીં, તે બાબત પોલીસ અધિકારી જ નાક્કીઓ કરતા હોય છે.