નવી દિલ્હી,
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પર છે. આ દરમિયાન તેઓ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેઓ માનસરોવરની યાત્રા દરમિયાન આવેલા અન્ય યાત્રાળુઓ સાથે વાતચીત કરી રહ્યા છે તેમજ તસ્વીરો પણ ખેંચાઈ રહ્યા છે.
જો કે આ દરમિયાન રાહુલ ગાંધીને માર્ગમાં ૧૪ ગુજરાતીઓનું એક ગ્રુપ પણ મળ્યું હતું. તેઓએ આ ગુજરાતીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા.
ત્યારબાદ આ ગ્રુપના સભ્યો દ્વારા તેઓ સાથે સેલ્ફી લેવા માટે વિનંતી કરી હતી. રાહુલ ગાંધીએ ગુજરાતી ગ્રુપની વિનંતી સ્વીકારતા તેઓ સાથે સેલ્ફી લીધી હતી.
રાહુલ ગાંધીની મુલાકાત બાદ આ ગ્રુપના સભ્ય મિહિર પટેલે જણાવ્યું હતું કે, “યાત્રા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમારી સાથે થોડીક પડો માની હતી, તે હંમેશા માટે યાદગાર રહેશે”.
આ દરમિયાન રાહુલ ગાંધીએ મિહિર પટેલે પોતાના ગળામાં પહેરેલી કપૂરની માળા અંગે પણ સવાલ કર્યો હતો. તેઓએ પૂછ્યું કે, તમે ગળામાં કપૂરની માળા શા માટે પહેરી છે.
ત્યારે મિહિર પટેલે કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન શ્વાસ લેવામાં પડતી સમસ્યાથી બચવા માટે આ માળા પહેરી છે એમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન ઉપર ચઢવા માટેનો રસ્તો ખુબ મુશ્કેલ છે. આ દરમિયાન યાત્રાળુઓ ખચ્ચરની મદદથી પોતાની સફર પૂર્ણ કરતા હોય છે, પરંતુ રાહુલ ગાંધીએ આ મુશ્કેલીભરી યાત્રા પગપાળા પૂરી કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિના કોઈ રુકાવટ વગર ૧૩ કલાકમાં ૩૪ કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા હતા. શુક્રવાર સવારે જે વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ આ સફર પૂર્ણ કર્યા બાદ કેમ્પમાં પાછા ફરી રહ્યા છે.