નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદીની તસવીર ખાનગી કંપનીઓની જાહેરાતોમાં ઉપયોગ કરવા પર સાવચેત થયેલી કેન્દ્ર સરકાર પ્રતીક અને નામ કાયદો-1950માં સજાની જોગવાઈ લાવવા જઈ રહી છે. પહેલાં આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મામૂલી દંડમાં 400 ગણો વધારો કરીને બે લાખ રૂપિયા કરવામાં આવશે. ગ્રાહક મામલાના મંત્રાલયે સાત દાયકા જૂના કાયદામાં સંશોધનનો ડ્રાફટ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
ડ્રાફટ પર સાર્વજનિક મત લેવાની સાથે જ કાયદા મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરી કેન્દ્રીય કેબિનેટ પાસે મોકલવામાં આવશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સંશોધન ખરડો સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકારે જાહેરાતમાં વડાપ્રધાન મોદીની તસવીર લગાવનારી રિલાયન્સ જિયો ઈન્ફોકોમ અને પેટીએમને ગત વર્ષે નોટિસ ફટકારવામાં આવી હતી. આ સમયે કાયદામાં માત્ર 500 રૂપિયાના દંડની જોગવાઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે નોટિસ મોકલ્યા બાદ સરકાર દ્વારા બંને કંપનીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના પછી કાયદામાં ફેરફારની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
ગ્રાહક મામલાના મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફટમાં પહેલી વખત આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર રૂ. બે લાખનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. એક વખતથી વધુ ઉલ્લંઘન પર દંડની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા સુધી કરી શકાય છે. આ ઉપરાંત આ કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરવા બદલ છ માસની જેલની સજા પણ થઈ શકે છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલા આ પ્રકારના કાયદા પર ધ્યાન આપ્યા બાદ આ કાયદાના ભંગ બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રતીક અને નામના કાયદા હેઠળ ગ્રાહક મામલાનું મંત્રાલય રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવા ઉચ્ચ કાર્યાલયોની સાથે જ ઐતિહાસિક મહત્વની વસ્તુઓ અને વ્યક્તિઓની પ્રતિષ્ઠાનું સંરક્ષક છે.