અયોધ્યામાં રામલલ્લાના મંદિરનો વિવાદ ભલે સુપ્રીમ કોર્ટમાં અટકેલો હોય પરંતુ વિવાદિત સ્થળથી થોડે દૂર સરયુના કિનારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભગવાન રામની એક વિશાળ પ્રતિમા સ્થાપિત કરશે.એવું જાણવા મળે છે કે અહીં સ્થપાનારી ભગવાન રામની મૂર્તિ દુનિયાની સૌથી મોટી મૂર્તિ હશે. એ માટે સરકાર એનજીટી પાસેથી પણ મંજૂરી લેશે.
ભગવાન રામની આ પ્રતિમા યોગી સરકારની નવ્ય અયોધ્યા યોજનાનો એક ભાગ હશે. એટલું જ નહીં આ વખતે દિવાળીના અવસરે જેને ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાનો દિવસ મનાય છે, યોગી આદિત્યનાથ પોતે તેમના સ્વાગત માટે ઉપસ્થિત રહેશે. યોજના એવી છે કે આ વખતે અયોધ્યાને દિવાળીમાં એવી રીતે જ સજાવાશે, જે રીતે દિવાળીના દિવસે ત્રેતાયુગમાં ભગવાન રામે લંકા પર વિજય મેળવ્યા બાદ સજાવાઇ હતી.
આ વખતે ભગવાન રામની અયોધ્યા પાછા ફરવાની થીમ પર એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જે દેવદિવાળીના દિવસે બપોરે 2 વાગ્યે અયોધ્યામાં પ્રવેશ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમનું મંત્રીમંડળ ભગવાન રામનું પૂજન કરશે. એ બાદ રામનો રાજ્યાભિષેક પણ કરશે.