અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડા સામે એલર્ટ રહેવા રાજ્યનું વહીવટી તંત્ર યુદ્ધનાં ધોરણે કામે લાગી ગયું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો આખો સમુદ્રતટ સંલગ્ન જિલ્લાનાં વહિવટીતંત્રએ ખાલી કરાવ્યો હતો. દરિયા કિનારાનાં તમામ શહેરોમાં એનડીઆરએફની ટીમો ગોઠવી દેવામાં આવી છે જ્યારે સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. પોરબંદરની આસપાસમાં 5,000 લોકોનું 15 આશ્રય સ્થળોએ સ્થળાંતર કરાયું છે. ખંભાતનાં કિનારેથી પણ લોકોનું સ્થળાંતર કરાવાઈ રહ્યું છે.
મહા વાવાઝોડાના પગલે માંગરોળ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. NDRFની ટીમ સાથે પોલીસ, આરોગ્ય અને વહીવટી વિભાગનાં અધિકારીઓ સજ્જ છે. તકેદારીનાં ભાગરૂપે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડી દેવાઈ છે.
મહા વાવાઝોડુ હાલ પોરબંદરથી 530 કિમી દુર છે ત્યારે હાલ પોરબંદરનાં દરિયામાં વાવઝોડાને લઈને કરંટ જોવા મળી રહ્યો છે. વાવઝોડાને લઈને પોરબંદર વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે.
મહા વાવાઝોડાનાં પગલે ધોરાજીનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જ ધોરાજીનાં વાતાવરણમાં પલટો આવ્યો. ગાઢ ધુમ્મસનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે મહા વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠા પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મહા વાવાઝોડું આવે તે પહેલાની શાંતિ વલસાડનાં તિથલ દરિયામાં જોવા મળી હતી. તિથલનો દરિયો ભલે શાંત જોવા મળ્યો પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. સાવચેતીનાં ભાગરૂપે તંત્ર દ્વારા તિથલ બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયો છે. સાથે જ એનડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે.
વાવાઝોડાનાં કારણે હળવદ એપીએમસી બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે. કલેકટર દ્વારા માર્કેટિંગ યાર્ડમાં મુલાકાત લેવામા આવી હતી. જણાવી દઇએ કે, હળવદ માર્કેટિંગ યાર્ડ 6/7 તારીખે બંધ રાખવામા આવશે. નવી જણસ નહીં લાવવાની એપીએમસીનાં અઘિકારી દ્વારા સુચના આપવામા આવી છે. હળવદ એપીએમસી ઝાલાવાડનું સૌથી મોટું પીઠુ કહેવાય છે. જણાવી દઇએ કે, વાવાઝોડાનાં કારણે માર્કેટિંગ યાર્ડ બે દિવસ બંધ રાખવામા આવશે.
વાવાઝોડાને કારણે સુરત મહાનગર પાલિકા દ્વારા ડુમસનાં દરિયા કિનારે બેનરો પણ લગાવવામાં આવ્યા છે, આમ છતાં સુરતનાં ડુમસ દરિયા કિનારે સુરતીઓ ફરવા નીકળી પડ્યા હતા. સુરતીઓનો આવો મીજાજ હંમેશા જોવા મળે છે. મહા વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે બે દિવસ મહા વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરાઇ છે. ત્યારે તા.6 થી 7 દરમિયાન દ્વારકા સહિતનાં દરિયાકાંઠનાં વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડુ આવે તેની સંભવિત અસરનાં પગલે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વાર આજથી બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરાશે તેવી માહિતી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.