ભારતીય શેરબજારમાં આજે મિશ્ર શરૂઆત થઈ છે અને સેન્સેક્સ ફરી એકવાર સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો છે. જોકે, નિફ્ટી તેની સર્વોચ્ચ સપાટીથી નીચે ખુલ્યો હતો. બજાજ ફાઇનાન્સ, BPCL અને JSW સ્ટીલ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. એડવાન્સ ડિક્લાઈન રેશિયો પર નજર કરીએ તો માર્કેટની શરૂઆતમાં 1300 શેર ઝડપથી ટ્રેડ થઈ રહ્યા છે.
શેરબજારની શરૂઆતમાં BSE સેન્સેક્સ માત્ર 4 પોઈન્ટના વધારા સાથે 73,331ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે NSE નો નિફ્ટી 16.95 પોઈન્ટ ઘટીને 22,080 ના સ્તર પર ખુલ્યો હતો.
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની બિઝનેસ અને શેરબજાર પર પણ અસર જોવા મળી રહી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) એ અનુમાન લગાવ્યું છે કે અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેકને કારણે મંદિરની અર્થવ્યવસ્થામાંથી પેદા થયેલ બિઝનેસનો આંકડો રૂ. 1 લાખ કરોડને પાર કરી શકે છે. અગાઉ CATએ રૂ. 50,000 કરોડના ટર્નઓવરનો અંદાજ મૂક્યો હતો.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કહ્યું કે પહેલા અમે 50 હજાર કરોડ રૂપિયાના બિઝનેસનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ હાલમાં દેશભરમાં મંદિરના ઉદ્ઘાટનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો એ જોતા 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા છે. દેશભરમાં ઉમેટલ રામલહેર લોકોના વિશ્વાસનું પ્રતિબિંબ છે. CAIT એ રામમંદિરના કારણે વ્યાપાર વૃદ્ધિ અને નવા વ્યવસાયોનું સર્જન થનાર આ બાબતને દેશના ઇતિહાસમાં એક દુર્લભ ઘટના ગણાવી. રામમંદિરના કારણે દેશમાં આર્થિક સ્તરે મોટા ફેરફાર થવાનું અનુમાન છે.