અમૃતસર,
પંજાબના અમૃતસરમાં શુક્રવાર સાંજે બનેલી એક દર્દનાક ટ્રેન ઘટનાને લઈ અનેક કારણો સામે આવી રહ્યા છે. ૧૦ થી ૧૨ સેકન્ડના સમયમાં ફૂલ સ્પીડે ધસી આવી રહેલી એક ટ્રેન રાવણ દહન જોઈ રહેલા લોકોને કચડતા ૬૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.
જો કે અત્યારસુધી સ્થાનિક પ્રશાસન તેમજ રેલ્વે તંત્ર દ્વારા ઘટનાની જવાબદારી લેવા અંગે હાથ અધ્ધર કર્યા હતા, પરંતુ આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે.
હકીકતમાં દશેરા કમિટી દ્વારા સત્તાવાર રીતે પત્ર લખીને સ્થાનિક પોલીસ પાસે સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. બીજી બાજુ પોલીસ દ્વારા પણ આં કાર્યક્રમના આયોજન માટે મંજૂરી આપી હતી.
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર દલજીત સિંહે કમિટીને જવાબ આપતા જણાવ્યું હતું કે, દશેરાના કાર્યક્રમ આયોજિત કરવાને લઈ પોલીસ તંત્રને કોઈ આપત્તિ નથી.
આ સાથે જ દશેરા કમિટી અને પોલીસનો એમ બંનેના પત્ર સામે આવ્યા બાદ હવે સ્પષ્ટ થઇ ગયું છે કે, દશેરા કમિટી દ્વારા સ્થાનિક પ્રશાસનને જાણકારી આપવામાં હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી.
બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપ્યા બાદ પણ આયોજિત કાર્યક્રમના સ્થળે પોલીસ નજરે આવી ન હતી અને આ મોટી દુર્ઘટના બની હતી. ત્યારે હવે તંત્ર સામે સવાલો ઉભા થયા છે કે, જો યોગ્ય સમયે પોલીસ દ્વારા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોત તો, આ મોટી દર્દનાક ઘટના ટળી ગઈ હોત.
રેલ્વેની કોઈ ભૂલ નથી : સિન્હા
મોદી સરકારમાં મંત્રી સિન્હાએ જણાવ્યું છે કે, “આ ઘટનામાં રેલ્વેની કોઈ ભૂલ નથી અને સાથે સાથે તેઓએ આ દર્દનાક ઘટનાની તપાસ કરાવવા માટે પણ સ્પષ્ટ મનાઈ કરી છે.
રેલ્વે રાજ્યમંત્રીએ ગેટમેનનો બચાવ કરતા કહ્યું હતું કે, “જે જગ્યાએ આ ઘટના બની છે, તે રેલ્વે ફાટકથી ૩૦૦ મીટર દૂર છે. આ ઘટનામાં રેલ્વેની કોઈ ભાગીદારી નથી”.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “કાયદાની વ્યવસ્થા રાજ્ય સરકારની જવાબદારી છે લોકોને રેલ્વે ટ્રેક પર જમા નહિ થવું જોઈએ, પરંતુ ઘટના સમયે લોકો ટ્રેક પર બેઠા હતા”.