નવી દિલ્હી,
ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં પુણેના ભીમા કોરેગાવમાં થયેલી હિંસા મામલે ૫ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ગુરુવારે સુપ્રીમ કોર્ટની આ મામલે હાથ ધરાયેલી સુનાવણી આગામી બુધવાર સુધી ટાળવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, “ધરપકડ કરાયેલા ૫ લોકો આગળની સુનાવણી સુધી નજરબંધ જ રહેશે”. બીજી બાજુ સર્વોચ્ચ અદાલત દ્વારા પોલીસની પ્રેસ કોન્ફરન્સને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે”.
પોલીસની છાપેમારીમાં ૫ સામાજિક કાર્યકર્તાઓની કરાઈ હતી ધરપકડ
જાન્યુઆરી મહિનામાં પુણેના ભીમા કોરેગાવમાં થયેલી હિંસા મામલે દેશભરમાં ઘણી જગ્યાએ છાપેમારી કરવામાં આવી હતી અને ૫ સામાજિક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.
જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ તમામ પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરવા પર રોક લગાવી હતી અને તેઓને ૬ સપ્ટેમ્બર સુધી નજરકેદમાં રહેવા માટે આદેશ આપ્યો હતો.
ધરપકડના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ હતી પીટીશન
ત્યારબાદ ૫ કાર્યકર્તાઓની ધરપકડના વિરોધમાં ઇતિહાસકાર રોમીલા થાપર અને અન્ય ચાર કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કતી હતી. આ પીટીશનમાં તેઓએ કાર્યકર્તાઓની છોડવાની સાથે સાથે આ સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ કરાવવા માટે માંગ કરી હતી.
આ પહેલા મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાયેલી છાપેમારીમાં સામાજિક કાર્યકર્તા વરવરા રાવને હૈદરાબાદથી, સુધા ભારદ્વાજને ફરીદાબાદથી, દિલ્હીથી ગૌતમ નવલખાની ધરપકડ કરાઈ હતી. જયારે થાણેથી અરુણ ફરેરાને અને ગોવાથી બર્નન ગોનસાલવિસની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન તેઓ પાસેથી લેપટોપ, પેન ડ્રાઈવ અને કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરાયા હતા.