2019ની ચુંટણીના પડઘામાં એક તરફ કોંગ્રેસ પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધ મહાગઠબંધન બનવવાની દરેક સંભવ કોશિશ કરી રહી છે. જયારે બીજી બાજુ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીએ એમના ખાસ પ્લાન પર કામ કરવાનું શરુ કરી દીધું છે. મિશન 2019ની રણનીતિ હેઠળ અમિત શાહ દેશના લગભગ બધા રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે. અને પીએમ મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા છે.
આ પ્લાન હેઠળ છેલ્લા બે મહિનામાં અમિત શાહ 18 રાજ્યોનો પ્રવાસ કરી ચુક્યા છે. અને આ મહીને 22 જુલાઈ સુધી તેઓ બધા રાજ્યોમાં પહેલા રાઉન્ડની બેઠક પૂરી કરી લેશે. ભાજપ અધ્યક્ષ આ 18 રાજ્યો અંતર્ગત આવતી 400 લોકસભા સીટો પર અલગ-અલગ નેતાઓ સાથે મંથન કરી ચુક્યા છે.
અમિત શાહ 2019 ની ચુંટણીઓને લઈને દરેક રાજ્યના કોર ગ્રુપ, સોશિયલ મિડિયા ટીમ, એસસી-એસટી વિભાગ સાથે બંધ બારણે મીટીંગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ દરેક રાજ્યમાં લોકસભા ગ્રુપ પણ બનાવી રહ્યા છે. જેમાં રાજ્યના મોટા પદાધિકારીઓ, ચુંટણી લડવાનો અનુભવ ધરાવતા વરિષ્ઠ નેતાઓ અને સહયોગી સંગઠનોના મોટા પદાધિકારીઓ શામેલ છે.
અમિત શાહ આ બેઠકોમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યોના કામકાજ રીપોર્ટ પર સમીક્ષા કરે છે. આ ઉપરાંત શાહે લોકસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને એક મોટો ફેસલો લીધો છે. ઓગસ્ટ મહિનામાં દેશની બધી 543 લોકસભા સીટો પર પ્રભારી નિયુક્ત કરવામાં આવશે.
અમિત શાહ એક તરફ સંગઠનને તૈયાર કરવામાં લાગ્યા છે, ત્યારે બીજી તરફ પીએમ મોદીએ પણ ચુંટણી પ્રચાર શરુ કરી દીધો છે. સુત્રોનું માનવામાં આવે તો પાર્ટીએ નક્કી કર્યું છે કે ચુંટણી સમીકરણોને ધ્યાનમાં રાખતા પીએમ મોદી મહિનામાં એક વાર યુપી જરૂર જશે. આની શરૂઆત પીએમ મોદી 14 જુલાઈએ મુલાયમસિંહના આઝામગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસનો શિલાન્યાસ કરીને કરશે.
પાર્ટીની રણનીતિ મુજબ પીએમ મોદી નમો એપ્પના માધ્યમથી અલગ-અલગ ગરીબ કલ્યાણ યોજનાઓથી જે લોકોને ફાયદો મળ્યો છે, એમની સાથે મહિનામાં બે વાર વાત કરવાની સાથે સરકારની ઉપલબ્ધિઓ વિશે જનતાને જણાવશે. આ ઉપરાંત જેટલી પણ સરકારી યોજનાઓ હજુ પૂરી નથી થઇ, એને જલ્દી પૂરી કરીને પ્રચાર-પ્રસાર પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવશે.