નવી દિલ્હી,
જો તમે ૨૦૦૦ રૂપિયા અને ૨૦૦ રૂપિયાની ફાટેલી નોટોથી પરેશાન છો અને તેને બદલાવવા માંગતા હોય અને તમે તેની પૂરી કિંમત મેળવવા માંગતા હોય તો તમારી માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા પોતાના નિયમોમાં સંશોધન કરતા ફેરફાર કરવામાં આવ્યા છે.
આ પહેલા RBI દ્વારા જ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ મહાત્મા ગાંધી સિરીઝના એક ભાગરૂપે લાવવામાં આવી હતી. આ સાથે જ નોટબંધી પછી જાહેર કરવામાં આવેલી આ નોટ બદલવાને લઇ લોકોને શંકા હતી જે RBI દ્વારા સમાપ્ત કરવામાં આવી છે.
પહેલા માત્ર ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની ફાટેલી નોટ બદલવાનો હતો નિયમ
આ પહેલા ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ અને ૫૦૦ રૂપિયાની ફાટેલી તેમજ ગંદી નોટો બદલવાનો નિયમ હતો, પરંતુ હવે ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
નોધનીય છે કે, દેશમાં નોટબંધી લાગુ કરાયા બાદ RBI દ્વારા ૨૦૦૦ રૂપિયાની નવી નોટ નવેમ્બર, ૨૦૧૬માં અને ૨૦૦ રૂપિયાની નોટ સપ્ટેમ્બર, ૨૦૧૭માં જાહેર કરવામાં આવી હતી.
RBI દ્વારા નિયમોમાં કરાયું સશોધન
આ નોટોનો અલગ આકાર હોવાના કારણે તે જુના નિયમો હેઠળ આવતા ન હતા, પરંતુ RBI દ્વારા નાણા મંત્રાલયને આ નોટોના નિયમો સ્પષ્ટ કરવા અંગે કહ્યું હતું. RBI દ્વારા ૨૦૦૯માં નોટ રિફંડ નિયમમાં સંશોધન કર્યું અને જણાવવામાં આવ્યું કે, નવી મહાત્મા ગાંધી સીરીઝની નોટોને પણ આ નિયમના ભાગરૂપે બદલવામાં આવે.
નોટ બદલવા માટે છે આ નિયમ
RBI દ્વારા નોટ બદલવાના સંશોધન નિયમ ૨૦૧૮ અનુસાર, ૨૦૦૦ રૂપિયાની નોટની પૂરી કિંમત માટે ગ્રાહકોએ નોટના વાસ્તવિક આકારના ઓછામાં ઓછા ૮૮ વર્ગ સેન્ટીમીટરનો ભાગ આપવો પડશે. જયારે ૪૪ વર્ગ સેન્ટીમીટરનો ભાગ આપવા પર અડધી કિંમત મળશે.
જયારે ૨૦૦ રૂપિયાની નોટની પૂરી કિંમત માટે ગ્રાહકોએ નોટના વાસ્તવિક આકારના ઓછામાં ઓછા ૭૮ વર્ગ સેન્ટીમીટરનો ભાગ આપવો પડશે. જયારે ૩૯ વર્ગ સેન્ટીમીટરનો ભાગ આપવા પર અડધી કિંમત મળશે.
આ જ પ્રમાણે ૧૦૦ રૂપિયાની નોટ પૂરી કિંમત માટે નોટના વાસ્તવિક આકારના ૭૫ વર્ગ સેન્ટીમીટર અને ૩૯ વર્ગ સેન્ટીમીટરનો ભાગ આપવા પર અડધી કિંમત મળશે.
જયારે ૫૦ રૂપિયાની નોટમાં ૭૫ વર્ગ સેન્ટીમીટરમાં પૂરી કિંમત અને ૩૬ વર્ગ સેન્ટીમીટર માટે અડધી કિંમત મળશે.