નવી દિલ્હી,
છેલ્લા કેટલાક વર્ષોથી કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રી પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હવે ખત્મ થયો છે. શુકવારે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા ઐતિહાસિક ચુકાદો આપતા સબરીમાલા મંદિરમાં મહિલાઓ પ્રવેશવા માટે મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સબરીમાલા મંદિરમાં દરેક વર્ગની મહિલા પ્રવેશ કરી શકે છે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની બેન્ચે ૪ – ૧ (પક્ષ -વિપક્ષ)ના હિસાબથી આ ચુકાદો આપ્યો હતો.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ આર નરીમન અને જસ્ટિસ એ એમ ખાનવિલકર દ્વારા મહિલાઓના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો હતો, જયારે જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા દ્વારા સબરીમાલા મંદિરના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે ૮૦૦ વર્ષ જુના સબરીમાલા મંદિરની મહિલાઓની એન્ટ્રી પર રોક લગાવવાની માન્યતા ઘણા સમયથી ચાલી રહી હતી.
આસ્થાના નામે લિંગભેદ કરવું એ અયોગ્ય : CJI
ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું હતું કે, “આસ્થાના નામે લિંગભેદ કરવામાં આવી શકે એમ નથી. કાયદો અને સમાજનું કામ બધાને એક સમાન રીતે જોવાનું છે. મહિલાઓ માટેના આ પ્રકારના માપદંડ તેઓનું સન્માન ઓછુ કરે છે”.
જસ્ટિસ નરીમને પણ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, “મહિલાઓને કોઈ પણ એક સ્તરથી નીચે આંકવું એ પ્રકારે બંધારણનું ઉલ્લંઘન કરવું જ છે”.
બીજી બાજુ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ સબરીમાલા મંદિર તરફથી અરજી કરનારા પીટીશનરનું કહેવું છે કે, “તેઓ હવે આ મામલે રિવ્યુ પીટીશન દાખલ કરશે”.
આસ્થા સાથે જોડાયેલા મામલાઓને સમાજે જ નક્કી કરવા જોઈએ : જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા
સબરીમાલા મંદિરના પક્ષમાં પોતાનો ચુકાદો આપતા જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા દ્વારા કહેવામાં આવ્યું કે, “ધાર્મિક આસ્થાઓને IPCની ધારા ૧૪ના આધાર પર માપી શકાય નહિ. આસ્થા સાથે જોડાયેલા મામલાઓને સમાજે જ નક્કી કરવું જોઈએ ન કે કોર્ટે.
આ કારણે લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ ?
કેરળના પત્થનમથીટ્ટા જિલ્લાના પશ્ચિમી ઘાટ પરના પહાડ પર સ્થિત સબરીમાલા મંદિર ટ્રસ્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, “૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશવા પર એટલા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કારણ કે, માસિક ધર્મના સમય પર તેઓ શુદ્ધતા બનાવી શકતી નથી.