જસદણ,
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. જસદણ અને વીંછીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખે પક્ષમાંથી રાજીનામાં આપી તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અને હાલમાં ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જવાબદારી નિભાવતા કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લું સમર્થન આપ્યું છે.
વીંછીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા અને જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઈ કાકડીયાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના કામો થતા ન હોવાથી આજે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી ભાજપ સાથે જોડાય કુંવરજીભાઇ બાવડીયાને ટેકો જાહેર કર્યો છે.
હાલમાં જસદણ અને વીંછીયા તાલુકા કોંગ્રેસના પ્રમુખએ પક્ષમાંથી રાજીનામુ આપ્યું છે ત્યારે આવતા દિવસોમાં બંને તાલુકામાંથી કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ભાજપ સાથે જોડાય તો નવાઈ નહીં.
ઉલ્લેખનીય છે કે બન્ને તાલુકાના પ્રમુખના રાજીનામાથી કોંગ્રેસને ફટકો જરૂરથી પડ્યો છે જ્યારે ભાજપનો પાયો મજબૂત થયો છે જેની સીધી અસર આવતા દિવસોમાં યોજાનાર જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પર જોવા મળશે.