ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ના મુરતિયા ઉમેદવાર નક્કી કરવા ભાજપના નિરીક્ષકો એ સતત ત્રણ દિવસ સુધી 182 બેઠકો પર સેન્સ લીધા બાદ ભાજપ માંથી ચૂંટણી લડવા 7000 થી વધુ દાવેદારો આવ્યા હતા, એટલું જ નહીં 75 વર્ષ થી વધુ ઉંમર ના થી લઈ ને હારેલા ધારાસભ્યો, કૉંગ્રેસ માંથી આવેલા નેતાઓ દાવેદાર બન્યા હતા, આ ઉપરાંત અનેક બેઠકો પર સ્થાનિક ને જ ટિકિટ આપવા રજુઆત થઈ હતી
ગુજરાતમાં હવે વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પક્ષે 182 બેઠક પર ત્રણ દિવસ સુધી પક્ષના ચૂંટણી લડવા માટેના દાવેદારોની સેન્સ પ્રક્રિયા કરી હતી,તેમાં પ્રથમ બે દિવસમાં જ 5000 થી વધુ દાવેદારોએ ટિકીટ માંગી લીધી હતી, જ્યારે આજે છેલ્લા દિવસે 2000 જેટલા દાવેદારો આવ્યા હતા, આવતીકાલથી બે દિવસ માટે પક્ષના નિયુક્ત થયેલા નિરીક્ષકો સ્થાનિક કક્ષાએ સંકલન સમિતિ સાથે બેઠકો યોજશે અને તેઓ ચૂંટણી લડવા માટેના ગંભીર નામો શોર્ટ લીસ્ટેડ કરીને ત રિપોર્ટ તૈયાર કરશે અને તા.1 નવેમ્બર બાદ પ્રદેશ સમિતિ ને સુપ્રત કરશે અને ત્યારબાદ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકો શરુ થશે અને દિલ્હીમાં તા.8 થી 10 વચ્ચે ભાજપના નામોની આખરી યાદીની પસંદગી કરીને આ યાદીની જાહેરાત કરાશે. આમ આગામી 10 થી 12 દિવસ હવે ચૂંટણી લડવા માટે ઈચ્છુક દાવેદારો માટે મહત્વના બની ગયા છે
ગુજરાતમાં ફરી વખત ભાજપની સરકાર બનવાનું નિશ્ચીત મનાઈ રહ્યું હોવાથી એક પણ દાવેદાર હવે ચૂંટણી લડવાની તક નહી ચૂકી જાય તે માટે જબરદસ્ત લોબીંગ શરૂ કરી રહ્યા છે, તા.27ના રોજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપરાંત તા.28 ના રોજ ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના મતવિસ્તારોમાં સેન્સનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં દરેક બેઠક પર 10થી30 દાવેદારો ચૂંટણી લડવા ઈચ્છુક હોવાનું બહાર આવ્યું છે પરંતુ પક્ષને ઓછામાં ઓછા 5થી6 ગંભીર ઉમેદવારો પર વિચારણા કરશે અને તે યાદી બાદમાં મોવડીમંડળને મોકલીને નામો ફાઈનલ કરશે. ખાસ કરીને મોટાભાગની બેઠકો પર પેરેશુટ ઉમેદવાર કે આયાતી ઉમેદવાર ન આવે તે માટે પ જબરો જુવાળ જોવા મળ્યો છે તો બીજી તરફ ફકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે તે અમદાવાદની ઘાટલોડીયા બેઠક પર પક્ષના દાવેદારો દ્વારા પણ એક પણ અરજી થઈ ન હતી અને ફકત ભુપેન્દ્ર પટેલનું સિંગલ નામ બહાર આવ્યું છે જયારે બીજી તરફ વટવામાં પુર્વ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું સિંગલ નામ મોકલવાના પ્રયાસો અંતિમ ઘડીએ નિષ્ફળ ગયા અને 12 જેટલા દાવેદારોએ વટવા બેઠક લડવા તૈયારી કરી છે.