IPL 2022માં વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે. વિરાટ કોહલી લાંબા સમયથી પોતાના ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. પોતાની બેટિંગથી ટીમ ઈન્ડિયા માટે મોટી ઈનિંગ્સ જોવા મળી રહી નથી. આ દરમિયાન ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે અને તે પણ કોહલી માટે ચિંતિત દેખાઈ રહ્યા છે.
વિરાટ કોહલી IPL 2022માં બેટ્સમેન તરીકે પોતાના કદ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. તાજેતરમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં કોહલી 0 રન બનાવીને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં રવિ શાસ્ત્રીએ કોહલીને ક્રિકેટમાંથી બ્રેક લેવાની સલાહ આપી છે. શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું, ‘જ્યારે બાયો બબલની શરૂઆત થઈ ત્યારે હું કોચ હતો, પછી મેં સૌથી પહેલા કહ્યું કે તમારે ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવી પડશે. જો તમે તેના પર વધુ પડતું દબાણ લાવી રહ્યા છો તો ખેલાડી પોતાનું સ્થાન ગુમાવી શકે છે અથવા તેને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે.
કોહલી વિશે વાત કરતા ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ (રવિ શાસ્ત્રી)એ કહ્યું, ‘વિરાટ કોહલી હવે ખૂબ જ થાકી ગયો લાગે છે. જો કોઈને આરામની જરૂર હોય તો તે છે. પછી ભલે તે બે મહિનાનો આરામ હોય કે દોઢ મહિનાનો. કારણ કે હજુ તે છ-સાત વર્ષ ક્રિકેટ રમી શકે તેમ છે અને તમે માનસિક થાકને કારણે તેને ગુમાવી દો છો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સૌથી મોટો બેટ્સમેન વિરાટ કોહલી આ સિઝનમાં સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો છે. વિરાટે આ સિઝનમાં અત્યાર સુધી 7 મેચમાં 19.83ની એવરેજથી માત્ર 48 રન બનાવ્યા છે. વિરાટ કોહલીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં જાળવી રાખ્યો હતો. નવેમ્બર 2019 પછી વિરાટ કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારવામાં સફળ રહ્યો નથી. તે ફ્લોપ થતો રહે છે.