સિડની,
સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં કાંગારું ટીમનો ૩૪ રને શાનદાર વિજય થયો હતો. આ સાથે જ યજમાન ટીમે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ હાંસલ કરી છે.
જો કે પોતાની ટીમની આ જીતને લઈ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર કેન રિચર્ડસનનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
તેઓએ જણાવ્યું હતું કે, “ઓસ્ટ્રેલિયા ભાગ્યશાળી રહ્યું કે અમ્પાયરના ખોટા નિર્ણયને કારણે મહેન્દ્ર સિંહ ધોનીની વિકેટ અમને મળી ગઈ. જેથી આ વિકેટ અમારી ટીમની જીત માટે ટર્નિંગ પોઈન્ટ બની હતી”.
કાંગારું ઝડપી બોલરે કહ્યું, “એક સમય એવો પણ હતો જયારે બંને બેટ્સમેન સારી ભાગીદારી નોંધાવી રહ્યા હતા, પરંતુ અમે ભાગ્યશાળી રહ્યા કે, ધોનીને એલબી ડબલ્યુ આઉટ કરવામાં અમે સફળ રહ્યા”.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેસન બેહરનડોર્ફના બોલ પર ૩૩મી ઓવરમાં ધોનીને LBW આઉટ આપવામાં આવ્યો હતો, પરંતુ TV રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, બોલ લેગ સ્ટમ્પથી બહાર પડી હતી.
જો કે ત્યારબાદ પણ અમ્પાયરે ધોનીને આઉટ આપ્યો હતો અને આ સાથે જ એમ એસ ધોનીની અને રોહિત શર્માની ૧૪૧ રનની ભાગીદારી તૂટી ગઈ હતી.