સુરત.
આજે ગણેશ ચતુર્થી એટલે કે વિધ્નહર્તા ગણેશજીનો જન્મ દિવસ છે. ત્યારે આજથી દસ દિવસ સુધી બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. સુરત શહેરમાં 70 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારમાં હીરા વેપારી ઘરે 500 કરો઼ડના નેચરલ ડાયમંડવાળા ગણેશજીના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવી રહયા છે.
ગણપતિ બાપ્પા મોર્યા! તમામ દેવોમાં જેની સૌ પ્રથમ પૂજા થાય છે તેવા દુંદાળા દેવ ગણેશજીના મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ગયો છે. સતત દસ દિવસ સુધી ભકતો દ્વારા ગણેશજીની રોજ પૂજા-આરાધના કરવામાં આવશે અને દસ દિવસ બાદ ચૌદશના દિવસ બાપ્પાની મુર્તિનું વિસર્જન કરવામાં આવશે, ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારનાં દાન ગીગેવ સોસાયટીમાં રહેતા હીરાના વેપાર સાથે સંકળાયેલા રાજેશભાઈ પાંડવના ઘરે 500 કરોડની નેચરલ ડાયમંડમાં સાક્ષાત બાપ્પાનાં દર્શન થયા છે.
આ ગણપતિ બાપ્પાની ખાસિયતની વાત કરીએ તો સન 2005માં રાજેશભાઈ જયારે હિરાની દલાલી કરતાં હતા તે સમય આ ડાયમંડ તેમની પાસે આવ્યો હતો. ત્યારે રાજેશભાઈને આ ડાયમંડમાં સાક્ષાત બાપ્પાના દર્શન થયા હતા. જેથી તેઓએ પરીવારની આ બાબતે વાત કરી તો પરીવારજનોએ આ ડાયમંડને ઘરે રાખી મુકવા રાજી થઈ ગયા હતા.
સતત 13 વર્ષથી રાજેશભાઈ આ ડાયમંડ સ્વરૂપે નેચરલ ગણપતિ બાપ્પાને ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરે જ સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી બાપ્પાની પૂજા- અર્ચના કરવામાં સહેઝ પણ કચાસ નથી રાખતા. બાપ્પાના દર્શન કરવા માટે મોટીસંખ્યામાં લોકો આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
સુરતના હીરાનાં વેપારી રાજેશભાઈ પાંડવે જણાવ્યું હતુ કે,
ભગવાનની કિંમત રૂપિયામાં ન આંકી શકાય પરંતુ જયારે 2016માં તેઓએ સ્પાર્કલમાં પણ ભગવાનના સ્વરૂપમાં આ ડાયમંડને મુકવામાં આવ્યો હતો. સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડાયમંડની કિંમત 500 કરોડથી પણ વધુ અંકાય તો તેમાં કોઈ શંકાને સ્થાને નથી. સમગ્ર વિશ્વમાં પ્રથમ આવા નેચરલ સ્વરૂપ ધરાવતા ગણેશજી હોવાનો તેઓએ દાવો પણ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતુ કે બાપ્પાની કૃપા હંમેશા અમારા પર રહે છે. તેઓના આર્શિવાદથી અમે લોકો કોઈપણ કલેશ વગર સંયુકત કુંટુંબમાં જ વર્ષોથી રહીએ છીએ અને આગળ પણ બાપ્પાના આર્શિવાદ બન્યા રહે તેવી પ્રાથના પણ કરીએ છીએ. દસ દિવસ પૂજા કર્યા બાદ બાપ્પાને અમે સાચવીને અક્ષત જગ્યા પર મુકી દઈશે છીએ. ગણેશજીના સ્વરૂપમાં આ ડાયમંડ 27.74 કેરેટ છે. આમ સુરત શહેરમાં આવા અનોખા બાપ્પાના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.