એક તરફ મહારાષ્ટ્ર સરકારની રાજકીય પરિસ્થિતી ડામાડોળ બની છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર એન.સી.પીના કદાવર નેતા શરદ પવાર અને પ્રફૂલ પટેલની સસ્પેન્સવાળી ગુજરાત મુલાકાતને લઇને ખળભળાટ મચી ગયો છે. બધા લોકો જાણે કે દિલ્હીના રાજકારણનો રસ્તો ગુજરાત થઇને જ જાય છે. કદાચ તેના જ ભાગ રૂપે શરદપવાર અને પ્રફુલ પટેલે ગુજરાતની મુલાકાત લીધી હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
આ બંને નેતાઓ ચૂપચાપ મુલાકાત બાદ મુંબઇ પરત ફરી ગયા છે. જોગાનુંજોગ અમિતશાહ પણ હાલ ગુજરાતમાં છે. ત્યારે એક તર્ક એવો પણ લગાવાઇ રહ્યો છે કે મહારાષ્ટ્ર સરકાર સંબંધિત મામલાઓની કોઇ ચર્ચા માટે તેઓ આવ્યા હોય તેવું બની શકે છે. તમને જણાવી દઇએ કે આ બંને નેતાઓ મોડી રાત્રેીએ ચાર્ટર ફલાઇટમાં મુંબઇથી અમદાવાદ આવ્યા હતા. અને એક મોટા ઉધોગગૃહમાં રોકાયા હતા. અહી નાટકીય રીતે સસ્પેન્સ મુલાકાત થઇ છે. બંધ બારણે મંત્રણા પણ થઇ છે. મોડી રાત્રીએ અમદાવાદ આવેલા આ નેતાઓ રાત્રી રોકાણ અમદાવાદમાં કરીને વહેલી સવારે મુંબઇ રવાના થઇ ગયા છે. જો કે બીજી તરફ એવી પણ વાત આવી રહી છે કે તેઓએ અમિતશાહ સાથે મુલાકાત કરી નથી. ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે જો તેમણે અમિત શાહ સાથે મુલાકાત નથી કરી તો તે કોને મળીને મુંબઇ પરત ગયા તે વાતને લઇને રાજકીય વિવેચકો માથુ ખંજવાળી રહ્યા છે.