કેવડિયા/ જંગલ સફારીમાં 53 દેશી-વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોત, આ છે કારણ

ગુજરાતના કેવડિયા જંગલ સફારીમાં પક્ષીઓ અને પ્રાણીઓના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સફારીમાં 163માંથી 53 પશુ-પક્ષીઓના મોત થયા છે.

Top Stories Gujarat Others
કેવડિયા

ગુજરાતના કેવડિયા જંગલ સફારીમાં પક્ષીઓ અને પ્રાણીઓના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સફારીમાં 163માંથી 53 પશુ-પક્ષીઓના મોત થયા છે. કેવડિયા જંગલ સફારી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પૈકી એક છે.

વિધાનસભાના વર્તમાન સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે 163 પશુ-પક્ષીઓમાંથી 53 મૃત્યુ પામ્યા હતા, જેઓ વિદેશ અને ભારતના વિવિધ રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે આમાં 22 પક્ષીઓ અને પ્રાણીઓ વિદેશી હતા.

કેટલો થયો ખર્ચ

વર્ષ 2019, 2020, 2021માં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા અનુસાર, વિદેશ અને ભારતના વિવિધ રાજ્યોમાંથી પ્રાણીઓ અને પક્ષીઓને લાવવા માટે લગભગ 5.47 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ પ્રાણીઓ અને પક્ષીઓ લાવવામાં આવ્યા હતા

વિદેશથી લવાયેલા પશુઓમાં પાંચ અલ્પાકા, ચાર લામા, પાંચ વોલ્બીઝ, પાંચ જિરાફ, ત્રણ ઝિબ્રા, 3 વિલ્ડબિસ્ટ  અને બે ઓરીક્સ નો સમાવેશ થાય છે. જેમાંથી 3 અલ્પાકા, 3 વિલ્ડબિસ્ટ, બે લામા, બે ઓરીક્સ, બે વોલ્બીઝ, એક જિરાફ અને એક ઝિબ્રા જીવિત રહ્યા છે.

આ છે મૃત્યુનું કારણ

મંત્રીએ લેખિત જવાબ આપતાં જણાવ્યું કે, વિદેશથી લવાયેલા મોટાભાગના પશુઓ અને પક્ષીઓના મોત વાહિકાતંત્ર અને શ્વસનતંત્ર નિષ્ફળ જતાં થયા છે. મૃત્યુના અન્ય કારણોમાં હાયપોવોલેમિક શૉક, એસ્ફેક્સિયા, મલ્ટી-ઓર્ગન ફેઈલ્યોર, પેટમાં ગંભીર દુઃખાવો, ન્યૂમોનિયા અને હૃદય બંધ થઈ જવાનો સમાવેશ થાય છે. સરકારે બીજા એક પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયા બે વર્ષમાં કુલ 8.37 લાખ પ્રવાસીઓએ કેવડિયા જંગલ સફારીની મુલાકાત લીધી છે અને તેમાંથી 15.74 કરોડ રૂપિયાની રેવન્યૂ મળી છે.

અકોટાના ભાજપના ધારાસભ્ય સીમા મોહિલેના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે કહ્યું કે, 2020માં 1.26 લાખ પ્રવાસીઓએ આ સફારીની મુલાકાત લીધી હતી અને ટિકિટ દ્વારા 2.24 કરોડ રૂપિયાની આવક થઈ હતી. કેમેરા ફી પેટે 3.16 લાખ રૂપિયાની આવક થઈ. 2021માં 7.12 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી અને ટિકિટ વેચાણથી 13.23 કરોડ રૂપિયાની આવક થઈ જ્યારે કેમેરા ફી પેટે 22.75 લાખ રૂપિયા વસૂલાયા હતા.