Gujarat News : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું એક નિવેદન સામે આવ્યું છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે ભાજપ ચૂંટણી અર્થે ભગવાન રામનો ઉપયોગ કરી રહી હોય તેવું કહ્યું હતું. તેમને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે કે નહીં પૂછતાં જણાવ્યું હતું કે, ભાજપ શ્રીરામના નામે તાયફો કરી રહી છે. તાયફાના કોઈ સાક્ષી ન બને.
તેઓએ વધુ જણાવ્યું હતું કે, હિંદુ ધર્મમાં સૌથી મોટા શંકરાચાર્ય છે. તેમના મતે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી. અધૂરા બાંધકામે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ના શકાય. ભાજપ ચૂંટણી આવે છે એટલે આવા બધા તાયફા કરે છે, પણ અમે હિંદુ ધર્મમાં માનીએ છીએ. અમે રામ મંદિર જઈશું, પણ કામ પૂર્ણ થાય બાદ.
ઉલ્લેખનીય છે કે, 22મી જાન્યુઆરીના રોજ થનારા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી આમંત્રિત મહાનુભાવોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે, વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સહભાગી ન થવાનો નિર્ણય લેતા કોંગી કાર્યકરો અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નિરાશ થયા હતા.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યુ હતું કે ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. પાર્ટીએ આવા નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરએ પણ કોંગ્રેસના અયોગ્ય નિર્ણયની ટીકા કરી નારાજગી દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ અમારા આરાધ્ય દેવ છે. કરોડો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદન આપવાથી બચવું જોઈએ.