Gandhinagar News: ગુજરાતમાં ગાંધીનગરનાં લીહોડા ગામે દારૂ પીધા બાદ બે લોકોના મોત થયા છે. દારૂ પીધા બાદ બે લોકોના મોત થતા લઠ્ઠાકાંડની આશંકા સેવાઇ રહી છે. જે બાદ આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર એસ. પી. અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં શંકાસ્પદ પીણાનાં સેમ્પલ FSLમાં મોકલાવવામાં આવ્યા હતા. જોકે, રિપોર્ટ સામે આવતા લઠ્ઠાકાંડ થઈ હોવાની ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકાયું હતું. રિપોર્ટ સામે આવ્યું કે તેમના મોત દારૂ પીવાથી થયા હતા.
ગાંધીનગરનાં લીહોડા ગામે દારૂ પીધા બાદ બેનાં મોત થયા છે અને આઠ લોકો ગંભીર હાલતમાં છે. આ બનાવની જાણ થતા ગાંધીનગર જીલ્લા પોલીસ વડા રવિ તેજા સહિતના ઉચ્ચ અધિકારીઓનો લીહોડા ગામે પહોંચી ગયા હતા. શંકાસ્પદ પ્રવાહીનાં નમૂના ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ દારૂ પીનારા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
FSLરિપોર્ટ મુજબ પ્રવાહીમાં મિથેનોલની હાજરી જોવા મળી નથી. એટલે સ્પષ્ટ થયું છે કે લઠ્ઠાકાંડ થયું નથી. તેવો દાવો જીલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે. લાંબા સમયથી કરવામાં આવતું દેશી દારૂનું વધુ પડતું સેવનથી મૃત્યુ થયાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયું છે તેવો દાવો થઈ રહ્યો છે. આ બનાવ બાદ પોલીસે 10 ટીમો બનાવી વધુ ગામમાં તપાસ શરૂ કરી છે. પોલીસે કોમ્બીંગ કરી 4 ગુના નોંધી 5 લોકોની અટકાયત કરી છે. SP મુજબ જો પોલીસની બેદરકારી હશે તો સખ્ત કાર્યવાહી કરાવામાં આવશે.