અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) જેને એક સમયે મજાકમાં અમદાવાદ માથાફોડ ટાંગાતોડ સર્વિસ કહેવાતી હતી, તેણે રીતસરનું તેનું નામ સાર્થક કરતા છેલ્લા એક દાયકામાં કુલ 171ને મોતને ઘાટ ઉતાર્યા છે. ટ્વેન્ટી20માં પણ 20 ઓવરમાં 180 કે 190 રન ખડકાતા હોય છે, પરંતુ અમદાવાદમાં તો AMTSએ દસ જ વર્ષમાં સર્જેલા કુલ 7,283 અકસ્માતમાં 171ને યમસદન પહોંચાડી દીધા છે.
આમ અમદાવાદ એએમટીએસની બસ અમદાવાદના માર્ગો પર રીતસરની હરતીફરતી યમદૂત સાબિત થઈ છે. તેમા પણ ખાનગી ઓપરેટરોને બસ સોંપવામાં આવ્યા પછી તો ડ્રાઇવિંગને લગતા કોઈ ધારાધોરણો AMTS માટે રહ્યા જ નથી. આજે એક વ્યક્તિનું મોત થાય તો કુટુંબ કેવું નોંધારું થઈ જાય તેની એએમટીએસના ડ્રાઇવરોને કોઈ સમજ લાગતી નથી.
દારૂ પીને બેફામ ચલાવતા ડ્રાઇવરો રસ્તા પરના વાહનચાલકોથી લઈને ચાલતા જનારાઓ માટે યમદૂતની ગરજ સારે છે. પાછી સરકારી તંત્ર હોવાથી તેમના માટે કોઈ સજા પણ લાગતી નથી. જો ખાનગી વાહન ચાલક અકસ્માત સર્જે ત્યારે જે સજા થતી હોય તે સજા સરકારી બસના વાહનચાલકને કેમ ન થાય. સરકાર જો આ બસના ઓપરેટરો પાસેથી દંડની રકમ વસૂલવાનું રાખે અને જો દરેક મૃતક દીઠ એક-એક કરોડ રૂપિયા વસૂલાય તો જ આ ઓપરેટરો અને ડ્રાઇવરોની સાન ઠેકાણે આવશે. આશ્ચર્યની વાત તો એ છે કે ગરીબના મોતની કિંમત પણ સરકારે ચાર લાખ રૂપિયા જ નક્કી કરી રાખી છે. પણ સરકાર જો કોઈ મોટો સરકારી અધિકારી આ રીતે અકસ્માતમાં કચડાઈ જાય તો વળતરનો આ જ દર રાખશે.
તાજેતરમાં જ ભૂલાભાઈ ચાર રસ્તા પાસે એએમટીએસના ડ્રાઇવરે ટુ-વ્હીલર પર જતા વેપારીને પૂરઝડપે ટક્કર મારતા નવીન પટેલ નામના વેપારીનું મોત થયું હતું. ખાનગી ઓપરેટરની બસ હોવાથી એએમટીએસે કોન્ટ્રાક્ટરને ફક્ત બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું છે કે એએમટીએસ અકસ્માતના વળતરમાં કોઈ ધારાધોરણોનું પાલન કરતું નથી. અકસ્માતમાં મૃત્યુ પામનારનું કુટુંબ નોંધારુ થઈ જાય છે, તેની કોઈ જોગવાઈ સરકાર કે તંત્ર કરતું નથી. ચાર લાખ રૂપિયામાં કે બે લાખ રૂપિયામાં એક કુટુંબનું શું દળદર ફૂટે. બેફામ ડ્રાઇવિંગ કરનારાઓને બેફામ દંડ કેમ ફટકારવામાં આવતો નથી.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ