દિલ્હી
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)માં ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાની નિમણુંક અને બઢતીને લઇને ફરી વિવાદ સામે આવ્યો છે. સીબીઆઇમાં હાલ સ્પેશિયલ ડાયરેક્ટરની ફરજ નિભાવતા રાકેશ અસ્થાનાની નિમણુંક મોદી સરકારે કેટલાંક નિયમો બાજુ પર મુકીને કરી હોવાની પીટીશન સુપ્રિમ કોર્ટમાં થઇ હતી.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે રાકેશ અસ્થાના હાલના ડિરેક્ટર આલોક વર્માનું સ્થાન લેવા માટે યોગ્ય નથી તેવા કેટલાંક પત્રો ચીફ વિજીલન્સ કમિશનર (સીવીસી) ને લખવામાં આવ્યો છે.આ પત્રોમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે રાકેશ અસ્થાના સીબીઆઇના કેટલાંક અધિકારીઓને ડાયરેક્ટરની સલાહ લીધા સિવાય સીધુ કામ સોંપીને તેમની દરમિયાનગીરી ઉભી કરી રહ્યાં છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પત્રો સીબીઆઇ તરફથી જ લખવામાં આવ્યાં છે.
આ પત્રોમાં રાકેશ અસ્થાના પર વડોદરાની એક કંપની પાસેથી લાંચ લેવાનો આરોપ છે ત્યારે તેવો કેવી રીતે સીબીઆઇના સર્વે સર્વા બની શકે.
સીબીઆઈમાં ચાલી રહેલી જૂથબંધીમાં એક ગ્રૂપ આલોક વર્માનું અને બીજું રાકેશ અસ્થાનાનું છે. અસ્થાનાનાં ગ્રૂપ દ્વારા વર્માનાં જૂથના અધિકારીઓનું પોસ્ટિંગ થવા દેવાતું નથી, જ્યારે હાલના ડિરેક્ટર વર્મા દ્વારા અસ્થાનાનાં ખાસ લોકોને સીબીઆઈમાં એક્સ્ટેન્શન આપવામાં આવ્યું નથી.
પત્રમાં એવી પણ ફરિયાદ કરાઈ છે કે, સીબીઆઈમાં જે કેટલાક અધિકારીઓને લાવવા માટે વિચાર કરાઈ રહ્યો છે તેમાંના કેટલાક સામે ક્રાઇમના કેસો ચાલી રહ્યા છે. આ લોકો પોતે જ કોઈને કોઈ ગુનામાં સંડોવાયેલા છે. સીબીઆઈ જ આ કેસોની તપાસ કરી રહી છે તો આ લોકો સીબીઆઈનું નેતૃત્વ કેવી રીતે કરશે?
સીબીઆઇમાં આંતરિક વિવાદો બહાર આવ્યા પછી કેન્દ્ર સરકારે આમાંથી પોતાની જાતને અળગી કરી લીધી છે.વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય કક્ષાના મંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું હતું કે અમે માત્ર વહીવટી હેડ છીએ અને માત્ર પોલીસી અંગેના નિર્ણયો લઇએ છીએ.
રાકેશ અસ્થાના 1984ના ગુજરાત કેડરના ઓફિસર છે અને તેમણે ફેબ્રુઆરી 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવવા અંગેના મામલાની તપાસ કરી હતી.